• રવિવાર, 01 જૂન, 2025

પાકને નાણાં સહાય બંધ થશે?

પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ભારતીય સેનાએ આતંકી અડ્ડાઓ ઉપરાંત લશ્કરી મથકો અને અણુબૉમ્બ છુપાવાયા છે તે મથકોએ હુમલા કરીને પાકિસ્તાનને ખોખરું કરી નાખ્યું છે. અત્યારે ઘૂંટણિયે પડીને આજીજી કરે છે પણ તેનો ભરોસો નથી. આતંકવાદનાં મૂળિયાં સાથે નષ્ટ કરવાની - ઝીરો ટોલરન્સ નીતિ ભારતની છે તે મુજબ અૉપરેશન સિંદૂરનું સમાપન થયું નથી. હજુ કામ બાકી છે તેથી ભારત વિશ્વમાં મિત્ર દેશોને પાકિસ્તાની આતંકના પુરાવા બતાવીને કહેવા માગે છે કે હજુ ગમે ત્યારે ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડશે. ભારતનાં સાત સર્વપક્ષી પ્રતિનિધિમંડળો આ મહત્ત્વની કામગીરી બજાવશે. આતંક સામે ભારતની એકતા મજબૂત, અખંડ છે તે બતાવવા સાથે પાકિસ્તાનને મળતી વિદેશી નાણાકીય મદદનો ઉપયોગ આતંક માટે જ થાય છે - એ બાબતની ખાતરી કરાવાશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે લોન આપી તે ગંભીર ભૂલ છે એમ જણાવીને હવે આવી મદદ અપાય નહીં, બંધ થાય તેવી રજૂઆત પણ થશે. સંરક્ષણ પ્રધાને તો સ્પષ્ટ કહ્યું છે કે આતંકવાદી હુમલા માટે વિદેશી નાણાંનો ઉપયોગ બંધ થવો જોઈએ. `અભી તો ટ્રેલર દેખા હૈ - પિક્ચર અભી બાકી હૈ' એમ કહીને એમણે સંદેશ આપી દીધો છે. પાકિસ્તાની આતંકી હુમલાથી લઈને અૉપરેશન સિંદૂર સુધીની ઘટનાઓના સત્યથી વિશ્વના દેશોને વાકેફ કરવા માટે ભારત સરકારે સર્વપક્ષી પ્રતિનિધિમંડળો વિદેશોમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિનિધિમંડળોમાં કૉંગ્રેસ ઉપરાંત રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, શિવસેના, તૃણમૂલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે. ભારત સરકારે પહલગામના આતંકી હત્યાકાંડ પછી વારંવાર વિદેશોને સત્તાવાર માહિતી આપી છે. અૉપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી આપણે સ્પષ્ટતા કરી છે કે અમે આતંકી અડ્ડાઓ ઉપર હુમલા કર્યા છે અને કરીશું. પણ સામાન્ય નાગરિકો અને પાકિસ્તાની લશ્કરી મથકો ઉપર હુમલા કર્યા ન હતા. પાકિસ્તાને જ્યારે ડ્રૉન સેનાથી હુમલા કર્યા ત્યારે જ આપણે જવાબ આપ્યો છે. આ બાબત વિદેશોના એલચીઓને બોલાવીને સ્પષ્ટ કરાઈ છે. હવે પ્રતિનિધિમંડળો મોકલીને વિદેશોમાં જનમત કેળવવાનો પ્રયાસ છે - સંબંધિત સરકારોએ પણ વાસ્તવિકતા - પાકિસ્તાની આતંક - સ્વીકારીને ફંડફાળા બંધ કરવા પડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd