આખો દેશ પાકિસ્તાન અને તેને સહાય કરવાવાળા દેશની વિરુદ્ધમાં
રોષ પ્રગટ કરી રહ્યો છે, બહિષ્કાર કરી
રહ્યો છે તેવા સમયે સર્વોચ્ચ અદાલતમાં રોહિંગ્યા મુસ્લિમોને દેશનિકાલ ન કરવા માટેની
અરજી દાખલ થાય તેને રાષ્ટ્રહિત સાથે ચેડાં નહીં તો બીજું શું કહેવાય? પ્રથમ તો એ કે, આવી અરજી કરાય નહીં અને તેના માટે વળી
ખોટી વાર્તા ઘડી કાઢવી એ તો અત્યંત નિંદાપાત્ર છે રીટ પિટિશન કરનારે એવું કહ્યું કે,
43 રોહિંગ્યાને લાઈફ જેકેટ પહેરાવીને
દરિયામાં નાખી દેવાયા. આવી મનઘડંત વાતો સાથે સર્વોચ્ચ અદાલતમાં થયેલી અરજી વર્તમાન
જ નહીં કોઈ પણ પરિસ્થિતિમાં દેશ વિરોધી કૃત્ય છે. સર્વોચ્ચ અદાલતે આ અરજી કરનારની ઝાટકણી
કાઢી છે. જો કે, કોર્ટે દંડ ફટકારવાની જ
જરૂર હતી. આવી અવળચંડાઈભરી અરજી કરવાનું કારણ શું? માનવતાની આડમાં
કેટલાક લોકો ભારતને જાણે ધર્મશાળા માનતા હોય તેવી આ સ્થિતિ છે. પૂર કે ધરતીકંપ જેવી
કુદરતી હોનારત હોય ત્યારે ભારત શત્રુદેશને પણ મદદ કરે છે. માનવતા એ છે. દેશની સીમા
અનઅધિકૃત રીતે ઓળંગીને અહીં પ્રવેશી જવું, ખોટા દસ્તાવેજો સાથે
વસવું અને વસાહતો ઊભી કરવી તે ચલાવી લેવાય નહીં અને આ રીતે રહેતા લોકોને ખદેડવા પડે
તો તે માનવતાવિરોધી કૃત્ય પણ નથી. અમદાવાદનો
ચંડોળા તળાવ વિસ્તાર શું છે? ત્યાં કેટલા લોકો છેલ્લા ત્રણ દાયકાથી
અનઅધિકૃત રીતે વસતા હતા? તે સૌએ હમણા જોયું. આ રીતે ઘૂસીને વસી
જનારને વિવિધ સવલતો આપવા માટેની ટોળકી સક્રિય હોય છે. રોહિંગ્યાઓની સાથે બાંગલાદેશીઓ
પણ ઘૂસે છે. આવા લોકોને કારણે વસતી વધે, સંશાધનોનો વપરાશ વધે
તેથી તેની અછત સર્જાય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે તો આ જોખમી છે જ. બંગાળ, પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાંથી ઘૂસેલા રોહિંગ્યાઓ ગુજરાત, જમ્મુ, હૈદરાબાદ, દિલ્હી સુધી વિસ્તર્યા
છે. દેશના વિભિન્ન વિસ્તારોમાં તેમને આ રીતે વસાવવામાં આવ્યા હોય તેની પાછળ કોઈ મોટું
ષડયંત્ર હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં. અનઅધિકૃત રીતે વસતા રોહિંગ્યાઓ અને બાંગલાદેશીઓની
ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે. આ બન્નેને ભારતમાં આવવા દેવા, વસવા દેવા માટે વકીલાત થઈ હોવાનો આ પ્રથમ બનાવ નથી. રોહિંગ્યા માટે ફરી આવી
માગણી થઈ તેની સામે સર્વોચ્ચ અદાલતે કહેવું પડયું કે, ભલે શરણાર્થીઓનો
દરજ્જો મળ્યો હોય પરંતુ બિનભારતીયો સાથે વિદેશી અધિનિયમ અનુસાર જ વ્યવહાર થવો જોઈએ.