સંપાદકીય.. : કુન્દન
વ્યાસ : વિદેશોમાં આતંકી પાકિસ્તાનનો
પર્દાફાશ - પુરાવા સાથે - કરવા જઈ રહેલાં સાત ભારતીય પ્રતિનિધિમંડળ બાબત વિવાદ જગાવીને
ભારતની બદનામી કરવા આપણા કેટલાક વિરોધ પક્ષો જાણે એકમેકથી સ્પર્ધા કરી રહ્યા છે. શશિ
થરૂરના નામ સામે કોંગ્રેસના પેટમાં ચૂંક ઊપડયા પછી હવે મમતા બેનરજી માથું કૂટવા લાગ્યાં
છે - એમને પણ દુ:ખે છે પેટ! પણ બીજી બાજુ કોંગ્રેસમાં હવે રાહુલ ગાંધીના નામની હાક
વાગતી નથી ! શશિ થરૂર પછી બીજા નેતા મનીષ તિવારીએ પણ કહ્યું છે કે, માતૃભૂમિની હાકલ પડી છે, ત્યારે રાજકીય વાદવિવાદને સ્થાન નથી. મનીષ તિવારીએ તો 1975માં આવેલી ફિલ્મ `આક્રમણ'માં કિશોરકુમારે ગાયેલું ગીત યાદ કરીને કોંગ્રેસની નેતાગીરીને યાદ અપાવી છે!
`દેખો વીર જવાનો અપને ખૂન પે
યહ ઇલ્જામ ના આયે... મા ના કહે કે મેરે બેટે વક્ત પર પડા કામ તો કામ ના આયે...' દરમિયાન ઇન્ડિયન
મુસ્લિમ લીગના સંસદસભ્ય મોહમ્મદ બશીર - જેઓ કેરળમાં કોંગ્રેસ મોરચાના સભ્ય છે - કહે
છે કે, મારા માટે અને મારા પક્ષ માટે ગૌરવ છે કે,
આપણા રાષ્ટ્રીય હિતની રજૂઆત કરવા માટે અમારી પણ પસંદગી થઈ છે. આતંકવાદ
અને પાકિસ્તાનમાં કરતૂત સામે વિશ્વને જાણ અને જાગૃત કરવામાં જરૂરી સફળતા મળશે. અમારી
ભલામણ વિના શશિ થરૂરની પસંદગી થઈ છે એવો બળાપો કાઢયો, પણ કોંગ્રેસ
પક્ષમાં આંતરિક સમર્થન મળતું નથી - શશિ થરૂરને મનાઈ ફરમાવે તો પણ વધુ નાક કપાય. કારણ
કે, શશિ થરૂર આવા ફરમાનને ગણકારે નહીં તો પક્ષમાંથી કાઢવા પડે
અને રાહુલ ગાંધીને કેરળ ઉપરાંત દેશભરમાં નુકસાન થાય, હાંસી ઊડે.
કોંગ્રેસની હાલત હવે કફોડી થઈ છે, ત્યારે જયરામ રમેશ ટાંગ ઊંચી
બતાવી રહ્યા છે - કહે છે કે, ભાજપે 10 વર્ષ સુધી અમને વગોવ્યા, વખોડયા છે અને હવે તકવાદીની જેમ જરૂર પડી એટલે
સર્વપક્ષી પ્રતિનિધિમંડળ વિદેશોમાં મોકલી રહ્યા છે! જયરામ રમેશ જાણતા નથી કે જરૂર ભારતની,
રાષ્ટ્રહિતની છે? પણ તેઓ દેશનું ઋણ ચૂકવવા તૈયાર
નથી ! કારણ કે, પ્રેમ વિદેશી ધરતીનો છે! તુર્કીમાં કોંગ્રેસ ઓફિસ
ખોલી હોવાના અહેવાલ - આક્ષેપનો ખુલાસો આપવાની હિંમત નથી. અલબત્ત, આ બાબતે નજીકના ભવિષ્યમાં વધુ પ્રકાશ પડશે. મમતા બેનરજીનો અહમ્, ઘમંડ દેશપ્રેમ કરતાં વધુ મોટો છે! મને કેમ પૂછ્યું નહીં? મારી મંજૂરી વિના યુસુફ પઠાણની પસંદગી કેમ કરી? એમની
દલીલ - ફરિયાદ એવી છે કે અમારા સંસદીય પક્ષને પૂછીને નામ નક્કી કેમ થયું? સંસદીય પક્ષની ઉપર પક્ષ છે - અમને, અર્થાત મને પૂછવું
જોઈએ. યુસુફ પઠાણને આમંત્રણનો અસ્વીકાર કરવા જણાવાયું છે! મમતાનો અહંકાર નવો નથી. ભૂતકાળમાં
વાજપેયીજીએ તૃણમૂલ કોંગ્રેસના સભ્ય સુદીપ બંદોપાધ્યાયને પ્રધાનમંડળમાં જોડાવાનું આમંત્રણ
આપ્યું હતું ત્યારે પણ વિરોધ કર્યો અને બંદોપાધ્યાય જોડાયા નહીં. દિનેશભાઈ ત્રિવેદી
રેલવેપ્રધાન હતા ત્યારે પણ મમતાએ માથું માર્યું હતું! નોંધપાત્ર બાબત - અને તફાવત એ
છે કે તામિલનાડુના ડીએમકે નેતા - મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન સ્વાયત્તતા માટે કેન્દ્ર
સામે લડી રહ્યા છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના વિશેષાધિકારનો વિરોધ કરવા અન્ય બિનભાજપી
મુખ્ય પ્રધાનોને સમજાવી - મનાવી રહ્યા છે, પણ પ્રતિનિધિમંડળમાં
એમની સુપુત્રી સહર્ષ જોડાઈ છે અને એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્વીકાર્યું છે. એમને
અહમ્ નડયો નથી - મમત પણ નથી! હવે મમતાદીદી પણ એમ કહે છે કે અમે પણ રાષ્ટ્રહિતમાં આતંક
સામે લડવા માગીએ છીએ. કેન્દ્ર સરકાર સાથે ખભે ખભા મિલાવીને લડવા તૈયાર છીએ પણ કેન્દ્ર
સરકાર નક્કી કરી શકે નહીં કે અમારા કયા સભ્ય આવે! રાષ્ટ્રહિતના પ્રશ્નમાં પણ અહમ્
- અહંકાર નડે છે! ગમે તે રીતે કેન્દ્ર સરકારનો વિરોધ કરવો છે - ભાજપ સાથે ભારતને નબળું
પાડવાની આ રાજકીય ચેષ્ટા છે! શરદ પવારે સંજય
રાઉતને ઠપકાર્યા આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ પવારે સંજય રાઉતને
ઠપકાર્યા છે - રાષ્ટ્રીય હિતમાં પ્રાદેશિક પોલિટિકલ લાવવાની જરૂર નથી એમ જાહેરમાં,
સ્પષ્ટ કહ્યું છે. સંજય રાઉત પોતાને કાંઈક સમજે છે! રોજેરોજ ન્યૂઝમાં
રહેવા માટે ગપગોળા છોડયા કરે છે. હવે એમણે વિપક્ષોને સલાહ આપી કે પ્રતિનિધિમંડળો અને
વિદેશ પ્રવાસનો બહિષ્કાર કરો! એમની સલાહ કોઈ સ્વીકારતું નથી. મમતાદીદીએ પણ એમની સલાહ
માગી નથી! શરદ પવારે પત્રકારોને જણાવ્યું કે પી. વી. નરસિંહરાવની સરકાર હતી ત્યારે
અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વ હેઠળ તેઓ (પવાર) યુનાઇટેડ નેશન્સમાં ગયા હતા. આંતરરાષ્ટ્રીય
બાબતોમાં પક્ષાપક્ષીના રાજકારણને સ્થાન હોય નહીં. પૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવારે શરૂઆતથી
જ કહ્યું છે કે રાષ્ટ્રની સલામતીને પ્રથમ રાખીને આગળ વધવું જોઈએ. રાહુલ ગાંધી અને કોંગ્રેસ
પ્રમુખપદ સંભાળતા મલ્લિકાર્જુન ખડગેએ જ્યારે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તથા સર્વપક્ષી
બેઠકમાં વડા પ્રધાન હાજર રહે એવી માગણી કરી ત્યારે પણ શરદ પવારે કહ્યું હતું કે આ માગણી
યોગ્ય નથી. વિરોધ પક્ષો ગમે તે પ્રશ્નો પૂછે અને માહિતી માગે તે રાષ્ટ્રના હિતમાં નથી.
સલામતીની ઘણી માહિતી જાહેર કરી શકાય નહીં - એમની આવી સલાહ છતાં કોંગ્રેસે કાર્યકરોને
`જયહિન્દ'
રેલી સરઘસ કાઢીને વડા પ્રધાનને જાહેરમાં પ્રશ્નો પૂછવા જણાવ્યું. સંજય
રાઉત કહે છે કે વિદેશ પ્રવાસનો બહિષ્કાર કરો. બેજવાબદારીનું આવું પ્રદર્શન રાષ્ટ્રના
હિતમાં નથી. રાહુલ ગાંધીનાં નિવેદનો પાકિસ્તાન પોતાના બચાવમાં રજૂ કરે છે હવે રાઉતનાં
નિવેદનનો ઉપયોગ પાકિસ્તાની પ્રતિનિધિઓ વિદેશમાં કરશે. શરદ પવારે કહ્યું છે કે સંજય
રાઉતનો વ્યક્તિગત અભિપ્રાય હોય તો પણ ભૂલી જાય છે કે રાઉતની - ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે
સેનાના સભ્ય પ્રિયંકા ચતુર્વેદી પણ ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ છે! સંજય રાઉતની
સલાહ ઉદ્ધવ ઠાકરે સ્વીકારશે?