વંશીય અત્યાચાર અને ઉત્પીડન માટે કુખ્યાત બની ગયેલાં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાના બનાવો દિવસોદિવસ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યા છે. 24 પરગણા જિલ્લાનાં સંદેશખાલી ગામે મહિલાઓનાં કહેવાતાં યૌનશોષણના સામે આવેલા મામલામાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના આરોપીઓને છાવરવાના રાજ્ય સરકારનાં વલણે દેશભરમાં ભારે રોષની લાગણી જગાવી છે. આ ચોંકાવનારા મુદ્દે ખુદ કોલકાતા વડી અદાલતને ટીકા કરવી પડી છે, તે બતાવે છે કે રાજ્યમાં સરકારી તંત્રો આ મામલામાં ન્યાયપૂર્ણ પગલાં લેવાને બદલે કાર્યવાહીમાં અંતરાય ઊભા કરવા અથવા જરા પણ રસ લેતાં ન હોવાની પ્રતીતિ થઇ રહી છે. મંગળવારે વડી અદાલતે બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીને સંદેશખાલીની મુલાકાત લેવાની શરત સાથેની મંજૂરી આપતી વેળાએ એવો મત વ્યક્ત કર્યો હતો કે પ્રથમ દૃષ્ટિએ જણાય છે કે આરોપીએ જનતાને ભારે નુક્સાન પહોંચાડયું છે, તેમ છતાં તે હજી પોલીસની પકડથી દૂર શા માટે છે ? આનો સીધો અર્થ એવો થાય છે કે રાજ્યની પોલીસ આ આરોપીને પકડવા સક્ષમ નથી અથવા પકડવા માગતી નથી. વળી, સંદેશખાલીની આસપાસ મજબૂત ઘેરો ઘાલીને રાજ્ય સરકારે જે રીતે વિપક્ષી નેતાઓ અને પત્રકારોને ત્યાં પ્રવેશતાં રોક્યા છે, તે બતાવે છે કે તે ત્યાં ગંભીર હકીકતોની ઉપર પડદો પાડી રાખીને પોતાના નેતા અને કાર્યકરોને છાવરવા માગે છે. આમ તો, ભારતમાં આ પ્રકારના બનાવો સામે આવતા રહે છે, પણ જે રાજ્યના વડા મહિલા હોય અને તેની સરકાર જ જો મહિલાઓની સામેના અત્યાચારને છાવરવા કે દબાવવાનો પ્રયાસ કરે, તે ખરા અર્થમાં વધુ નિંદનીય ગણી શકાય તેમ છે. જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં મામલો સામે આવ્યો કે તૃણમૂલનો સ્થાનિક નેતા શાહજહાં શેખ અને તેના સાથીદારો લોકોની જમીનો કબજે કરવા, મહિલાઓનું શોષણ કરવાની સાથોસાથ ગેરકાયદે વસૂલી જેવા ગુના બેરોકટોક આચરી રહ્યા છે. વળી, લઘુમતી સમુદાયની સામેની કોઇપણ ફરિયાદ કાને ન ધરવાની અને તેમને છાવરીને મતબેન્કનું રાજકારણ રમવા માટે કુખ્યાત બની ચૂકેલાં મમતા બેનરજીએ આ વખતે પણ આ બનાવ બન્યો ન હોવાનું ગાણું ગાયા કર્યું છે. વિપક્ષી ભાજપના બારાતુઓએ આ બનાવ ઊભો કર્યો હોવાના તેમના જૂના દાવા ફરી શરૂ કરાયા છે, પણ વડી અદાલત અને રાષ્ટ્રીય મહિલાપંચે આ મામલામાં જે રીતે સક્રિય રસ લઇને પ્રાથમિક રીતે તૃણમૂલના શેખની સંડોવણીની હકીકતો સામે આણી છે, તેનાથી રાજ્ય સરકારે અમુક ગુનેગારોની સામે કાર્યવાહી કરી છે, પણ મુખ્ય આરોપી હજી હાથ લાગ્યો ન હોવાનું આશ્ચર્ય ખુદ વડી અદાલતને છે. શાહજહાં શેખે જે રીતે તેની રાજકીય વગનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારમાં આતંક અને ભયનો માહોલ ખડો કર્યો, તે કેટલે અંશે વ્યાજબી ગણી શકાય ? લોકસભાની ચૂંટણીની જાહેરાત આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉત્તર - પૂર્વનાં રાજ્યોમાં પોતાની લઘુમતીના મસીહાની છાપનાં જોરે વધુને વધુ બેઠક જીતવાની મહેચ્છા ધરાવતાં મમતા બેનરજી માટે સંદેશખાલીના બનાવો રાજકીય વમળ બની રહ્યા છે. હાલમાં તો તેઓ રાજકીય રીતે અટૂલાં પડી ગયાં હોય તેમ જણાઇ રહ્યંy છે. દરમ્યાન, છેલ્લા હેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં સંદેશખાલી નજીકના વિસ્તારમાં મહિલાઓને સંબોધન કરવાના છે.