ભુજ, તા. 17 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ
વર્મા કચ્છ યુનિવર્સિટી અને ભારતીય સેનાના ભુજ મિલિટરી સ્ટેશન વચ્ચે એક મહત્ત્વપૂર્ણ
સમજૂતી કરાર એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે
યોજાયેલા કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, કુલસચિવ ડો. અનિલ ગોર, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય કેશરાભાઇ
પિંડોરિયા, વિવિધ વિદ્યાશાખાના ડીન, વિભાગીય
વડાઓ, યુનિવર્સીટી સ્ટાફ તેમજ ભારતીય સેનાના સ્ટેશન કમાન્ડર નીરજ
ખજુરિયા સહિત ઉચ્ચ સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કુલપતિએ જણાવ્યું કે, આ એમઓયુ માત્ર શૈક્ષણિક કરાર નથી, પરંતુ રાષ્ટ્રસેવામાં
અગ્રેસર રહેતી સેનાને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મજબૂત બેકઅપ આપવાનો નમ્ર પ્રયાસ છે.
ભુજ મિલિટરી સ્ટેશનના સ્ટેશન કમાન્ડરે આ વહીવટી અને શૈક્ષણિક જોડાણને સૈન્ય જવાનોના
મનોબળ અને વ્યાવસાયિક વિકાસ માટે ગેમચેન્જર ગણાવ્યું હતું. કર્નલ વિશાલ કુમાર સિંહે
સમજૂતી કરારના મુખ્ય ઉદ્દેશો અને લાભોની વિસ્તૃત માહિતી આપતાં કહ્યું કે, સૈન્ય જવાનો અને પરિવાર માટે વિશેષ ઉચ્ચ શિક્ષણ અંતર્ગત કચ્છના રણ અને ક્રીક
જેવા દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા આર્મીના જવાનો માટે તેમની પ્રેક્ટિકલ ટ્રાનિંગના
ક્રેડિટ વેલ્યૂના આધારે યુનિવર્સિટી દ્વારા `િડપ્લોમા ઇન ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ઇન રણ એન્ડ ક્રીક
સેક્ટર' એનાયત કરવામાં આવશે. સેનાના અધિકારીઓ,
જવાનો અને તેમના આશ્રિત પરિવારો માટે યુનિવર્સિટીના તમામ અંડરગ્રેજ્યુએટ,
પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કોર્સમાં વિશેષ પ્રવેશની જોગવાઈ કરવામાં
આવી છે. પીએચ.ડી.માં સુપર ન્યૂમરરી બેઠકો ફાળવવામાં આવશે. સૈન્ય વિસ્તારમાં જ યુનિવર્સિટી
એક્સ્ટેન્શન સેન્ટર પણ શરૂ કરી શકશે. વ્યૂહાત્મક અને ભૌગોલિક સંશોધન, કચ્છ યુનિવર્સિટી પોતાના ભૂસ્તરશાત્ર, પુરાતત્ત્વશાત્ર
અને અન્ય અદ્યતન પ્રયોગશાળાઓનાં માધ્યમથી સરહદી વિસ્તારોમાં જમીનની ક્ષમતા,
રણ વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ અને ક્ષાર પ્રવેશ જેવાં સંરક્ષણ માટે
મહત્ત્વના વિષયો પર વૈજ્ઞાનિક પરામર્શ અને સહયોગ આપશે. ભારતીય સેના દ્વારા કચ્છ યુનિવર્સિટીના
વિદ્યાર્થીઓ, સ્ટાફ અને એન.સી.સી./ એન.એસ.એસ.ના કેડેટ્સને આપત્તિ
વ્યવસ્થાપન, ભૂકંપ કે અન્ય કુદરતી આફતો સમયે કટોકટીની સ્થિતિમાં
મેડિકલ ઇવેક્યુએશન અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓ
માટે શારીરિક ફિટનેસ, ડિસિપ્લિન મેન્ટરશિપ અને મહિલા સુરક્ષા
માટે ટેક્ટિકલ સેલ્ફ-ડિફેન્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડર ટૂરિઝમ
અને સ્થાનિક ભાષા ઓરિએન્ટેશન માટે દેશભરમાંથી કચ્છ સરહદે નિયુક્ત થતા નવા સૈન્ય જવાનો
સ્થાનિક સરહદી સમુદાયો સાથે સરળતાથી સંવાદ સાધી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા તેમને
`કચ્છી'
અને 'ગુજરાતી' ભાષાનું વિશેષ
ઓરિએન્ટેશન અને ક્રેશ કોર્સ કરાવવામાં આવશે. યુનિવર્સિટી તરફથી નોડલ ઓફિસર ડો. ગૌરવ
ડી. ચૌહાણ અને આર્મીના પ્રતિનિધિ કર્નલ વિશાલ કુમાર સિંહે જહેમત ઉઠાવી હતી.