ભુજ, તા. 1 : કચ્છમાં લૂ ઓકતા ઊની વાયરા
વચ્ચે તાપનો પ્રભાવ ફરી વધતાં જનજીવન આકુળ-વ્યાકુળ બન્યું છે. મહત્તમ પારો એક દિવસના
વિરામને બાદ કરતાં ફરી 40 ડિગ્રીને
પાર થતાં લોકો આકુળ-વ્યાકુળ બન્યા હતા. હવામાન વિભાગે બે દિવસ સુધી આવું વાતાવરણ રહ્યા
બાદ થોડો સમય રાહત મળે તેવો વર્તારો આપ્યો છે. ભુજમાં મહત્તમ પારો ઊંચકાઇને 40.4 ડિગ્રીએ પહોંચ્યો, તો અંજાર-ગાંધીધામમાં 40 ડિગ્રીના આંકે સ્થિર રહેતાં
લોકોએ આકરા તાપનો અનુભવ કર્યો હતો. જિલ્લામાં સરેરાશ 12થી 15 કિ.મી.ની ઝડપે ફુંકાયેલા લૂ ઓકતા ગરમ પવને જનજીવનમાં દાહકતા
વધારવાનું કામ કર્યું હતું. લઘુતમ પારો 26થી 27 ડિગ્રી જેટલો
ઊંચો નોંધાતાં રાત્રિના ભાગે પણ લોકોએ ઉકળાટનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે મે મહિનામાં
સામાન્યથી ઊંચું તાપમાન નોંધાશે અને ગરમીનું જોર યથાવત્ રહેશે તેવી સંભાવના દેખાડી
છે.