ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ મહાનગરપાલિકાનો આવકનો મુખ્ય સ્ત્રોત વેરાઓ છે, જેના થકી કચેરીનો વહીવટ અને
અન્ય સ્વભંડોળમાંથી કામો કરવામાં આવે છે. બે મહિના દરમિયાન કચેરીમાં કામકાજનો ધમધમાટ
શરૂ થયો છે. દિવાળીના તહેવાર ઉપર સ્વભંડોળમાંથી કોન્ટ્રાક્ટરોને રૂપિયાનું ચૂકવણું
પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કર્મચારીઓનો પગાર અને અન્ય કામો માટે ખાસ આવા રૂપિયાની
જરૂરિયાત હોઈ વહીવટી તંત્ર દ્વારા વેરા વસૂલાત ઉપર ભાર મૂકાયો છે. બાકીદારો ઉપર કડક
કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રએ 50 હજારથી વધુનો ટેક્સ ભરવાનો હોય તેવા પાંચ બાકીદારને
મિલકત જપ્તીની નોટિસ આપી હતી. હવે 10,000થી વધુ જેનો ટેક્સ બાકી છે, તેવા 63 બાકીદારનાં ગટર તેમજ પાણીનાં જોડાણો કાપવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે.
મહાનગરપાલિકાના ચોપડા ઉપર જોડિયાં શહેરોના 60500 મિલકતધારક નોંધાયેલા છે તે પૈકીના લગભગ
32 હજાર કરદાતાએ મહાનગરપાલિકાને 16 કરોડથી વધુનો ટેક્સ ભરપાઈ કર્યો છે. 33 કરોડના ટેક્સની વસૂલાત માટે 28,000 બાકીદાર ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં 10 હજારની આસપાસ બાકીદારોને વેરો ભરપાઈ કરી જવા
માટે સામાન્ય નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી મોટાભાગના કરદાતાઓ વેરો ભરવા માટે કચેરી સુધી
પહોંચ્યા નથી જેના કારણે હવે વિભાગ દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં
આવી રહી છે. એક બાજુ મિલકત જપ્તી સહિતની કાર્યવાહી
કરાશે, તો બીજી બાજુ ગટર અને પાણીનાં જોડાણો કાપીને વેરા વસૂલાત
માટેની કામગીરી કરવામાં આવશે 31 માર્ચ 2026 સુધીમાં
વસૂલાતના લક્ષ્યાંક સુધી તંત્ર પહોંચવા માટે મથામણ કરી રહ્યું છે. એટલા માટે જ કડક
કાર્યવાહી કરવાની નોટિસો આપવામાં આવી રહી છે.
હવે મિલકત જપ્તી અને જોડાણો ક્યારે કાપવામાં આવે છે તે જોવાનું રહ્યું છે. અગાઉ
જ્યારે નોટિસો આપવામાં આવી હતી, ત્યારે સ્થળ ઉપર કાર્યવાહી કરવા તંત્ર પહોંચતું હતું. તેવા
સમયે બાકીદારો ટેક્સ ભરી દેતા હતા.