ભુજ, તા. 9 : શહેરની નવી રાવલવાડી ખાતે સુધરાઇ
દ્વારા પકડાયેલા ગૌવંશને છોડી મૂકવા મુદ્દે
ડખો થતાં પોલીસ બોલાવવી પડી હતી. ભુજમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેની સામે સુધરાઇ દ્વારા ઝુંબેશ આદરી અલગ-અલગ
વિસ્તારમાં આવા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જે અંતર્ગત આજે નવી રાવલવાડી વિસ્તારમાં
સુધરાઇની ટીમે રખડતા ગૌવંશોને પકડતાં અમુક લોકોએ તેમની ગાયોને છોડી મૂકવા જીદ પકડી
હતી. વાત વણસતી લાગતાં સુધરાઇના કર્મીઓએ મુખ્ય અધિકારીનું ધ્યાન
દોરતાં તેમણે તાત્કાલિક ધોરણે પોલીસનો
સંપર્ક કરી ઘટનાસ્થળે પહોંચવા જણાવતાં પોલીસે તત્કાળ સ્થળ પર પહોંચી મામલો બિચકતાં
અટકાવ્યો હતો.