• રવિવાર, 01 જૂન, 2025

કચ્છમાં મળી વનસ્પતિની નવી પ્રજાતિ

કેયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 22 : કચ્છને કુદરતની પ્રયોગશાળા કહેવાય છે તે અમસ્તાં જ નથી કહેવાતું. આ ધરતીમાંથી એવા-એવા છોડ, પાક અને ફળ થયા છે જેની સામાન્ય રીતે કલ્પના પણ કરી શકાય નહીં. અહીંથી એક એવી વનસ્પતિની જાત તજજ્ઞોની ટીમને મળી આવી છે જે આ અગાઉ આખા ભારતમાં ક્યાંય નોંધાઈ ન હતી. મૂળ ઈજિપ્તથી-તુર્કીથી- ઈઝરાયેલ જેવા પ્રદેશોની ખારી ભૂમિની આ `ઝાઈગોફેલિયમ કોસિનિયમ' (ZYGOPHYLLUM COCCINEUM) વનસ્પતિ ભારતમાં પહેલી વખત કંડલા-ગાંધીધામના માર્ગે મળી આવતાં વનસ્પતિશાત્રીઓ રોમાંચિત થયા છે અને તેના વૈજ્ઞાનિક પૃથક્કરણ પર નજર મંડાઈ છે. આ સફળતા `ગાઈડ' તરીકે જાણીતી `ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી' સંસ્થાના વૈજ્ઞાનિકોની ટુકડીને સાંપડી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ઝાઈગોફેલિયમ કૂળની `િસમ્પલેક્સ' નામની પ્રજાતિ તો અસ્તિત્વ ધરાવે છે, પરંતુ `કોસિનિયમ' પ્રજાતિ પહેલી જ વખત નોંધાઈ છે. કચ્છમાં જ અને દેશમાં પણ અન્ય સ્થળે આ પ્રજાતિની ઉપસ્થિતિ હોઈ શકે છે અને તેથી ગાઈડ સંસ્થા દ્વારા તેની વધુ હાજરી તેમજ આ પ્રજાતિના ગુણધર્મ વગેરે વિશે આગળનું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. ગાઈડના નિર્દેશક ડો. વી. વિજયકુમારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંસ્થાની નિયમિત ફિલ્ડ મુલાકાત દરમ્યાન 2023માં કંડલા-ગાંધીધામના માર્ગે પુલ નજીક જમીનમાં આ વનસ્પતિ નજરે પડી હતી. પહેલી નજરમાં તે `અજાણી' લાગતાં તેના નમૂનાને બોટોનિકલ સર્વે ઓફ ઈન્ડિયા, જોધપુરને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં પરીક્ષણ બાદ આ વનસ્પતિ ઝાઈગોફેલિયમ કોસિનિયમ હોવાની પુષ્ટિ મળી હતી.  કોસિનિયમ મૂળ ઈજિપ્તની છે, જે મોટાભાગે રણ અથવા સૂકી ભૂમિ પર પાંગરતી હોય છે. આ વિશિષ્ટ પ્રજાતિ ઈજિપ્ત ઉપરાંત ઈરીટ્રિયા, અખાતી દેશો, કુવૈત, લેબેનોન-સીરિયા, પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, સુદાન અને યમન જેવા દેશોમાં સામાન્ય રીતે જોવા મળે છે. વિદેશોમાં થયેલાં સંશોધનોએ આ છોડની માટીમાંથી ભારે ધાતુઓ એકઠી કરવાની ક્ષમતાને ઓળખી છે. આ સાથે તેમાં ઔષધીય મૂલ્યો છે. કારણ કે, તેનો ઉપયોગ પરંપરાગત રીતે સંધિવા, સાંધાના દુ:ખાવા, ઉધરસ, રક્તનું ઊંચું દબાણ (હાઈ બીપી), અસ્થમા તેમજ અમુક ત્વચાના રોગોમાં થાય છે.  જો કે, ભારતમાં તે સૌપ્રથમ વખત કચ્છમાં જ મળી હોવાથી તેનો ઔષધીય સ્વરૂપમાં કઈ રીતે અને કેટલો ઉપયોગ થાય છે તે સંપૂર્ણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ હોવાનું ડો. વિજયકુમારે સ્પષ્ટ કર્યું હતું. આ પ્રજાતિ ભારતના વનસ્પતિજગતમાં એક ઉમેરા સમાન છે. જો કે, કચ્છ, ગુજરાત અને અન્ય વિસ્તારોમાં તેના વિસ્તરણને સમજવા માટે વધુ સંશોધન પર ડો. વિજયકુમારે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આ વનસ્પતિની હાજરી તેના મૂળ નિવાસસ્થાનથી દૂર નોંધાઈ હોવાથી વધુ સંશોધન જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, આ વનસ્પતિની આપણા પ્રદેશમાં હાજરી એ જળવાયુ પરિવર્તનને આભારી પણ કહી શકાય. વૈજ્ઞાનિક ભાષામાં તેને એક્સટેન્શન કહેવાય છે. ઈઝરાયલ, તુર્કી જેવી આબોહવા અહીં મળી હોવાથી આ વનસ્પતિ અહીં ઊગી હોય તેવી સંભાવના છે. આ વનસ્પતિ પ્રજાતિ તેના પર્યાવરણીય અને ઔષધીય મૂલ્યોને કારણે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, આ પ્રજાતિ વિવિધ પ્રકારની વસાહતોમાં નોંધાઈ છે અને ખડકાળ તેમજ કાંકરીવાળાં મેદાનોથી લઈને રેતાળ રણ પ્રદેશ તેમજ ચૂનાના પથ્થરોથી ભરપૂર ભૂમિમાં પણ જોવા મળે છે. વનસ્પતિની પ્રજાતિની ઓળખ તથા તેનાં સંશોધનમાં ગાઈડના ડો. વી. વિજયકુમારનાં માર્ગદર્શનમાં ડો. જયેશ બી. ભટ્ટ, રાકેશ પોપટાણી, વિવેક ચૌહાણ અને ભગીરથ પરાડવા જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd