મુંબઈ, તા. 22 : કાર્યસ્થળ પર વધતા જતા તણાવ,
કાર્યબોજ અને તેને કારણે સ્મૃતિભ્રંશ, કંપવા અને
તણાવ જેવા માનસિક રોગોનું પ્રમાણ વધતાં માનસિક તંદુરસ્તી એ આજના સમયની તાકીદની ધ્યાન
માગતી બાબત બની ગઈ છે. આ બાબતની અગત્યતાને સમજતાં કચ્છ કોર્પોરેટ ફોરમ અને શ્રી કચ્છી
ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ઘાટકોપર ખાતે `મગજની તંદુરસ્તી અને માનસિક સુખાકારી' વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રભાવશાળી
અને ઊર્જાવાન વર્કશોપમાં 700થી વધુ ઉત્સાહી
નાગરિક જોડાયા હતા. ઘાટકોપર પૂર્વના ભાનુશાલી બેન્ક્વેટ્સ ખાતે આયોજિત આ વર્કશોપનો
આરંભ એસકેબીએસએસટીના પ્રમુખ ડો. હર્ષદ માંગે અને કેસીએફના પ્રમુખ સીએ મુકેશ દેઢિયાના
સ્વાગત પ્રવચનથી થયો હતો, જેમાં બંને
અગ્રણીએ માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ અને પરિપૂર્ણ જીવનના પાયાના પથ્થર તરીકે સ્વીકારવાની
જરૂરત પર ભાર મૂક્યો હતો. આ કાર્યશાળામાં એક શક્તિશાળી સંદેશ આપવામાં આવ્યો હતો કે,
તમારું મગજ એ તમારી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, તેને સલામત રાખો, તેને તાલીમ આપો અને તે તમારા જીવનમાં
પરિવર્તન લાવશે. તજજ્ઞોની રસાળ શૈલી, જીવંત અને આકર્ષક રજૂઆતમાં
સંચાલિત વર્કશોપના સત્રમાં વિચારવાની ગતિ અને ધ્યાન વધારવા માટેની ઈન્ટરએક્ટિવ મગજની
રમતો, મગજને તણાવમુક્ત કરવા અને સંકલનને તીક્ષ્ણ બનાવવા માટે
હલન-ચલન આધારિત કસરતો શીખવવામાં આવી હતી. અનોખા અને ભાવનાત્મક નૃત્યએ ઉપસ્થિતોને આનંદ
અને માનસિક ક્રિયાશીલતામાં ભાવવિભોર કર્યા હતા. સહભાગીઓને એવી દૈનિક હેક્સ,
સરળ સાધનો અને આનંદદાયી માનસિક કસરતોનો પરિચય કરાવવામાં આવ્યો હતો જેને રોજિંદા જીવનમાં સામેલ કરીને જ્ઞાનાત્મક શક્તિ
અને ભાવનાત્મક સુખાકારી વધારી શકાય છે. વર્કશોપના સત્રમાં માત્ર વ્યાખ્યાન અપાયું ન
હતું, પરંતુ તે માનસિક સુખાકારીની ઉજવણીનો અવસર બની ગયો હતો,
જે હાજર રહેલા બધાને યાદ અપાવતો હતો કે, મગજને
વૃદ્ધ થતું અટકાવી માનસિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવું એ આજના ઝડપી અને ગતિશિલ
વિશ્વમાં શારીરિક તંદુરસ્તી જેટલું જ મહત્ત્વનું છે. આજથી જ તમારા મગજને તાલીમ આપવાનું
શરૂ કરો. કેમ કે, સ્વસ્થ મન
એ ફળદાયી, શાંતિપૂર્ણ અને હેતુપૂર્ણ જીવનનો પાયો છે એવા સ્પષ્ટ આહ્વાન સાથે વર્કશોપમાં ઉપસ્થિત દરેકને
ઊર્જાવાન, શિક્ષિત અને સશક્ત બનાવવામાં આવ્યા હતા.