• રવિવાર, 01 જૂન, 2025

ભરૂડિયામાં ઓસવાળ ચોવીસીનું સ્નેહમિલન-દેશ તેડા મહોત્સવ ઊજવાયો

મનસુખ ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 22 : તાલુકાના ભરૂડિયા ખાતે વાગડ વિશા ઓસવાળ ચોવીસી મહાજન જ્ઞાતિ સંમેલન અને દેશ તેડાનો  ભવ્ય મહોત્સવ ઉમંગ ભેર ઊજવાયો હતો. આ વેળાએ  માતા-પિતાનાં મંદિરની પ્રતિષ્ઠા વિધિ સહિતના  વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આરંભમાં ગામના મુખ્ય પ્રવેશદ્વારથી અગ્રણીઓને દોરી જવાયા હતા. આયોજક પરિવારના સંઘપતિ ખીમજીભાઈ વીજપાર સત્રાના માતા-પિતા, તથા દાદા દાદીની પ્રતિમાનું પ્રતિષ્ઠાન કરી દેવાલયમાં સ્થાપના કરવામાં આવી હતી. આ માતા-પિતાનું ભવ્ય મંદિર 20 લાખના જંગી ખર્ચે જ્યાં જુનુ ઘર હતું ત્યાં બાંધવામાં આવ્યું છે. આ પૂર્વે રમેશભાઈ જોશીએ કાર્યક્રમ રજૂ કર્યો હતો. 25માં તીર્થંકર રૂપ માણેકસ્તંભની વિધિ  દીપક કોઠારીએ  અને ઓસવાળોના કુળ બ્રાહ્મણ ઉમેદભાઈ રાજગોર વિગેરેએ કરાવી હતી.  મહાજનના સ્તંભ પૂજન બાદ સંમેલનનો પ્રારંભ થયો હતો. મંચ સંચાલક પ્રવીણભાઈ હરગોર કાલા એ દેશ તેડાનું મહત્ત્વ અને ચોવીસી મહાજનની પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના એનસીપીના માજી સ્પીકર નાણામંત્રી અરુણભાઇ ગુજરાતી અને તેમના વતનના ચોપડાના મેયર શ્રી ચૌધરી અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ગોપાલક વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ અરજણભાઈ રબારી ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડ, પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા અને મેઘુભા ઝાલા, ભાડાના પૂર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોર, ભરૂડિયાના ઠાકોર ભૂપેન્દ્રસિંહ જાડેજા, ગુજરાતના માજી નાણામંત્રી અને ચોવીસ મહાજનના પૂર્વ હોદ્દેદાર બાબુલાલ મેઘજીભાઈ શાહ, ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા, એકલ માતાજીના દેવનાથ બાપુ, વાડીલાલ રતનશી સાવલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બિરાજમાન આચાર્ય મહારાજ આત્મદર્શને દેશ  તેડુ અને ચોવીસી સંમેલનને બિરદાવીને કહ્યું હતું કે, ઓશવાળ સમાજની વસતી ઘટે છે, ત્યારે હવે સમાજનું અસ્તિત્વ ટકાવવા વસતીમાં વધારો કરવા માટે અપીલ કરી હતી. અન્ય જૈન મુનિ આનંદ વર્તન મહારાજ હાજર રહ્યા હતા. વિશા ઓશવાળ સમાજ ચોવીસી મહાજન પ્રમુખ નાગજીભાઈ રીટાએ માતા-પિતા દાદાની સ્મૃતિમાં વડીલો રહેતા એ ઘરમાં જ મંદિર બંધાવી આપનારા ખીમજીભાઈ સત્રાને બિરદાવીને આચાર્ય મહારાજે ઓશવાળ સમાજની વસતી ઘટતી હોવાનું જણાવીને ત્રીજું સંતાન જેના ઘરે થાય તેને ઓશવાળ સમાજ મહાજન જેટલી રકમ આપે તેટલી ચોવીસી મહાજન ઉમેરીને રકમ આપશે તેમ જણાવ્યું હતું. એટલે ગામનું મહાજન પાંચ લાખ આપે એટલે 5,00,000 ચોવીસી મહાજન આપશે તેમ જણાવ્યું હતું. આયોજક ખીમજીભાઈ સત્રાએ સૌને આવકારીને આભાર માન્યો હતો અને  100થી વધુ સંસ્થાએ બહુમાન કર્યું હતું, જ્યારે તેમણે ઉપસ્થિત ગણમાન્ય વ્યક્તિઓનું પણ બહુમાન કરીને આવકાર્યા હતા  આ પ્રસંગે ચોવસી મહાજનના ઉપપ્રમુખ હંસાબેન પપીનભાઈ ચરલા(આધોઈ-ગીરધામ), ગુણવંતીબેન હસમુખભાઈ (થાણા-સુવઈ), પુનશીભાઈ સત્રા, દામજી પ્રેમજી ગડા, મંત્રી શામજીભાઈ  હોનીભાઈ ગડા(શિવલખા-લાકડિયા), ચંપકભાઈ નંદુ (ખારોઈ-ગ્રાન્ટરોડ), પ્રવીણભાઈ હરધોરભાઈ (ભચાઉ), અરવિંદભાઈ સાવલા તથા ટ્રસ્ટી દામજીભાઈ ભોજરાજ બુરીચા (મનફરા-દાદર), ધરમશીભાઈ લખમશી સત્રા  ભચાઉ  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં  ખીમજીભાઈ સત્રા પરિવારના સેફાલી હિતેશ સત્રા, જિજ્ઞા હિતેશ સત્રા, જિજ્ઞા રાજીવ સત્રા, પૂર્વમંત્રી ધરમશી ચાપડી છેડા સહિતનાએ સહકાર આપ્યો હતો. માતા-પિતા મંદિરના કોન્ટ્રાક્ટર ખાનજીભાઈનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યુ હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd