રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 20 : ગત વર્ષ માંડવી
વિસ્તારમાં અતિભારે વરસાદ વરસવાનાં લીધે અનેક તળાવો,
ચેકડમોના ઓગન તથા પાળો તૂટી ગયા હતા, બીજું ચોમાસું
નજીક આવ્યું પણ તેનું સમારકામ હાથ ન ધરાતાં તાલુકાના 30 જેટલાં ગામડાંઓનાં તળાવોનું
પાણી દરિયામાં વહી જશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તંત્રની ઉદાસીનતાના લીધે જ
આવું બનશે, પરિણામે ખેડૂતો તથા પશુધન
માટે પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાશે તો જવાબદાર કોણ તેવો સવાલ પુછાઇ રહ્યો છે. તૂટેલા
ઓગનના રિપેરિંગ માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર જાગૃત નથી તેવા આક્ષેપો ગ્રામજનો
કરી રહ્યા છે. ચોમાસાની ઋતુને માત્ર પખવાડિયાં જેવો સમય બાકી રહ્યો છે ત્યારે આવાં
કામો ક્યાંથી પૂરા થાય તેવો સવાલ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. માંડવી સિંચાઇ વિભાગના
સેક્શન ઓફિસર અલ્તાફભાઇ સંગારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ચેકડેમ તથા તળાવના
રિપેરિંગ માટેની રજૂઆતો આવી છે. રાજ્ય સ્તરે કામો માટેની દરખાસ્ત કરાઇ છે અને તંત્ર
દ્વારા મંજૂરી આવતાં આ કામો શરૂ કરાશે. હાલમાં કોઇ ગામડાંમાં ડેમ-તળાવની કામગીરી ચાલુ
છે કે કેમ તેના પ્રતિઉત્તરમાં ભીંસરામાં કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું. જો કે
ભીંસરા સરપંચનો સંપર્ક કરતાં તેઓએ સંસ્થા દ્વારા તળાવ ઊંડા કરવા તથા પાળોનાં કામ ચાલુ
છે પરંતુ તંત્ર દ્વારા કોઇ જ કામગીરી હાથ ધરાઇ નથી. એકતરફ તંત્ર કહે છે કામ શરૂ કરાયાં
છે તો બીજીતરફ પ્રજાના પ્રતિનિધિઓ કહે છે કામ શરૂ કરાયાં જ નથી. માંડવીની નજીક આવેલાં
કાઠડા ગામ દરિયાથી સાવ નજીક છે, જેથી અહીં પાણીમાં ક્ષારનું પ્રમાણ
વધારે છે ત્યારે નંદી વિસ્તાર ઉપર આવેલ ભંગવાળું તળાવ જે આખા ગામને મીઠું પાણી પૂરું
પાડે છે, જેમાં ગ્રામ પંચાયતના બોરવેલ આવેલા છે, જે તળાવનો ઓગન તૂટી જતાં ગત વર્ષ બધું પાણી દરિયામાં વહી ગયું હતું. 5000 જેટલી વસ્તી ધરાવતા આ ગામ માટે
પાણીનો પ્રશ્ન ઉદ્ભવશે તેવી ભીતિ છે. સરપંચ પતિ ભારૂભાઇ ગઢવીનો સંપર્ક કરતાં જણાવ્યું
હતું કે, અનેક વખત રજૂઆતો કરાઇ છે, પણ કામ હાથ ધરાતું જ નથી.