છગનલાલ ઠક્કર દ્વારા : નખત્રાણા, તા. 14 : વિદેશી હૂંડિયામણ બચતમાં મહત્ત્વ
ધરાવતા એરંડા, એરંડાનું તેલ, ખોળ જેની વિદેશમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. કુદરતી અનુકૂળ, પ્રતિકૂળ વાતાવરણ આધારિત પાકમાં ઉતારો, ભાવોમાં મોટી
વધઘટ ખેડૂત-વેપારી માટે `કભી ખુશી
કભી ગમ'ની સ્થિતિ સર્જે છે. ચોમાસામાં ઓગસ્ટ માસમાં
સામાન્ય રીતે વાવેતર કરતા એરંડા બીજા વર્ષે નવ માસ સુધી વાડી-ખેતરોમાં એરંડાના પાકને
કુદરતી તેમજ જંગલી જાનવરો દ્વારા પાકને નુકસાન જેવા સંકટ આવે છે. પેદાશની વધઘટ -વિદેશ
નિકાસ ઉપર આધારિત ભાવોમાં મોટી વધઘટ જોવા મળે છે. એરંડાના પાકને ગત ઓગસ્ટમાં વાવેતર
સમયે અતિવૃષ્ટિથી એરંડા વાવેતરના કુમળા છોડનાં ધોવાણ, પછી સપ્ટેમ્બર-ઓક્ટોબર
માસમાં વિષમ વાતાવરણ - શિયાળાની ઠંડીમાં પ્રતિકૂળતાએ પાકના ઉતારા-પેદાશને નુકસાન કર્યા
પછી છેલ્લે અતિશય ગરમી-લૂનાં કારણે પાકમાં આવેલા સુકારાનાં કારણે પેદાશને મોટો ફટકો
પડતાં ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થયું છે. બીજીતરફ મુંદરા, ગાંધીધામ, કંડલામાં ખરીદી કરતા મિલરો, નિકાસકારો, જથ્થાબંધ વેપારીઓ દ્વારા નાના વેપારી પાસેથી
ખરીદવામાં આવતાં માલમાં ડબા, ડોલ ભરતીથી હલકા-ભારે વજનના માલ
ધોરણે કપાત, ડોડી, રજ, રેતી, કાંકરા સહિત મોટી કપાત તથા 45થી 50 રૂપિયાની કિંમતના એરંડા ભરેલા બારદાન માલ ખાલી કરી વેપારીઓને
કરાતાં પરતની નુકસાની વેઠવી પડે છે, જેના કારણે વેપારીઓને કપાત રકમનાં કારણે ખેડૂતો પાસેથી ખરીદ કરાતા માલમાં ભાવફેરથી
ખેડૂતોને આર્થિક નુકસાન થવા પામે છે. નખત્રાણા, વિરાણી,
કોટડા (જ.) વિસ્તારમાં એરંડાની ખરીદી કરતા વેપારીઓ ભરતભાઇ સોમજિયાણી,
બંટીભાઇ ઠક્કરે એરંડા પેદાશની ચાલુ વર્ષની સમીક્ષાની વિગતો આપતાં જણાવ્યું
હતું કે, ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે
માંડ 50થી 60 ટકા જેટલી પેદાશ થવાનો અંદાજ છે ત્યારે જથ્થાબંધ વેપારી ઉપર
સેન્ટરોના ભાવથી સ્થાનિકે ખરીદી કરવાના મૂડમાં છે. બીજીતરફ પેદાશી માલોમાં ખેડૂતોએ
40 ટકા જેટલો માલ તૈયાર કરી બજારમાં
વેચ્યો છે. જ્યારે 60 ટકા એરંડા
માલ કાઢવાનો બાકી ખેડૂતોના ખડામાં પડયો છે.
વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સદરહુ અડધા ભાગ જેટલો માલ ખેડૂતો પાસે પડતર છે. ગત વર્ષના
અંદાજે સને 2024માં જાન્યુઆરીથી જૂન સુધી ગુજરાતની
બજારોમાં કુલ્લ 1.60 કરોડ એરંડા
બોરીની આવક થઇ હતી તેની તુલનાએ ચાલુ વર્ષે વર્તમાન ગત જાન્યુઆરી માસથી માર્ચ અંત સુધી
માંડ 30 લાખ જેટલી બોરીની આવક થઇ છે.