ભારતના અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક ઉજ્જવળ પ્રકરણ સમસ્ત
બ્રહ્માંડની સાક્ષીએ આજે લખાઈ ગયું છે. ભારતના શુભાંશુ શુક્લા અન્ય ત્રણ અંતરિક્ષયાત્રી
સાથે 28 કલાકની અવકાશીય સફર પૂર્ણ કરીને
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયા છે. એક્સિયોમ-4 મિશન વ્યોમના વિહાર કરી રહ્યું છે. સૌપ્રથમ
મહત્ત્વની વાત એ છે કે, આ માત્ર વૈજ્ઞાનિક
ઉપલબ્ધિ નથી, પરંતુ ભારતની વૈશ્વિક ટેકનિકલ ક્ષમતાનાં રૂપમાં
ઊભરી રહેલી નવી સ્થિતિનું પ્રમાણ છે. શુભાંશુ ભારતના બીજા અવકાશયાત્રી છે, જેઓ અંતરિક્ષમાં ગયા છે અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનારા તેઓ પ્રથમ
ભારતીય છે. ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં ચંદ્રયાન પછી ટૂંકાગાળામાં આ મહત્ત્વની સિદ્ધિ
છે. 1984માં રાકેશ શર્મા અંતરિક્ષમાં
ગયા અને તેમને તત્કાલીન વડાપ્રધાને પૂછયું કે, તમને ભારત કેવું લાગે છે? ત્યારે તેમનો જવાબ હતો કે,
`સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા.' શુભાંશુએ સ્પેસ સ્ટેશન પરથી પોતાની આ યાત્રાને
અદ્ભુત કહી છે. તેમણે અંતરિક્ષમાંથી ધરતી પરના રહેવાસીઓને પ્રણામ કર્યા છે. સાથે જ
એવું કહ્યું છે કે, હું તો અહીં બાળકની જેમ ઘણું બધું નવું શીખી
રહ્યો છું. લખનઉમાં જન્મેલા શુભાંશુ આજે આ અંતરિક્ષયાત્રાના સાફલ્યપૂર્ણ પ્રકલ્પથી
વિશ્વવિખ્યાત બની ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતે જે માનવ
અંતરિક્ષ કાર્યક્રમનો આરંભ કર્યો છે તે દિશામાં આ બહુ જ મહત્ત્વની સિદ્ધિ છે. અંતરિક્ષયાન
ડ્રેગન સ્પેસ સ્ટેશન પર ડોક થયું તેની ખુશી સ્વાભાવિક રીતે સમગ્ર દેશમાં છે. 14 દિવસ આ યાન સ્પેસમાં રહેશે.
શુભાંશુ કુલ સાત પ્રકારના વિશિષ્ટ સંશોધન અંતરિક્ષમાં કરશે. અવકાશયાત્રી જ્યારે અંતરિક્ષમાં
વધારે સમય વીતાવે ત્યારે તેમની માંસપેશીઓ પર શું અસર થાય તેનું અધ્યયન થશે. ઉપરાંત
અડધા મિલિમીટરથી પણ નાના ટાર્ડિગ્રેડ જીવ ઉપર સંશોધન થશે. અંતરિક્ષમાં આ જીવ પર શું
અસર થાય છે? તે મુખ્ય શોધ રહેશે. ભવિષ્યમાં
અંતરિક્ષયાત્રીઓનાં પોષણમાં જેની મહત્ત્વની ભૂમિકા રહેવાની શક્યતા છે તેવી સૂક્ષ્મ
શેવાળ પર સંશોધન થશે. મગ અને મેથીના બીજ તથા અંકુરણ પ્રક્રિયા પર સંશોધન થશે. ફક્ત
આટલી જ વિગતોથી સ્પષ્ટ છે કે, આ મિશન સમસ્ત પૃથ્વી માટે અને વૈશ્વિક
સ્તરે ચાલતા અંતરિક્ષ વિજ્ઞાનના કાર્યક્રમો માટે કેટલું અગત્યનું છે. સૌથી મહત્ત્વની
વાત એ છે કે, આ મિશનમાં ભારતના અંતરિક્ષ સંસ્થાન ઈસરોનું પ્રતિનિધિત્વ
શુભાંશુ કરી રહ્યા છે. તેમની સાથે નાસાના પેગી વિટ્સન, પોલેન્ડના
સ્લાવોઝ ઉઝનાન્સ્કી અને હંગેરીના ટીબોર કાપુ સામેલ છે. 41 વર્ષના અંતરાલ પછી અંતરિક્ષમાં
પહોંચી ચૂકેલા ભારતીય યાત્રીઓએ ત્યાંથી પણ ધરતીને નમસ્કાર કર્યા છે. જાણે તેમણે કહ્યું
છે, `સુજલામ સુફલામ
મલયજ શીતલામ...'