• રવિવાર, 23 નવેમ્બર, 2025

હવાઈ મથકો પર એન્ટિ ડ્રોન સિસ્ટમ

નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકાર દેશના દરેક મોટા એરપોર્ટ પર એન્ટિ ડ્રોન સિસ્ટમ લગાવવાનો વિચાર કરી રહી છે, જેથી કોઈ પણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવી શકાય. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષમાં ડ્રોનનો મોટાં પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો, જેને જોતાં આ નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ પહેલાં મોટા અને સંવેદનશીલ એરપોર્ટ પર અને ત્યારબાદ અન્ય એરપોર્ટ પર લગાવાશે.  આ પહેલીવાર છે જ્યારે માત્ર નાગરિક એરપોર્ટ પર આ પ્રકારની સિસ્ટમ લગાવવામાં આવશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે ચર્ચા માટે કેટલીક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ ચૂકી છે.  ગૃહ મંત્રાલય આ પરિયોજનાની દેખરેખ કરી રહ્યું છે, ત્યારે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો  દ્વારા એક સમિતિની રચના કરાઈ છે, જેમાં ઉડ્ડયન નિયમનકાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અને અન્ય હિસ્સેદારો સામેલ છે.  ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, સિસ્ટમની વિશેષતાઓ પર કામ ચાલી રહ્યું છે. મંત્રાલય સંબંધિત ઘટનાક્રમો પર નજર રાખી રહ્યું છે અને વિશેષતાઓને અંતિમ રૂપ અપાયા બાદ ખરીદી શરૂ થઈ જશે. અન્ય એક અધિકારીએ ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, આ પરિયોજના તબક્કામાં પૂર્ણ કરાશે. શરૂઆતના તબક્કામાં દિલ્હી, મુંબઈ, શ્રીનગર, જમ્મુ જેવા સંવેદનશીલ એરપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ધીરે-ધીરે આ સુવિધા અન્ય એરપોર્ટ પર પણ લાગુ કરાશે.  એક અધિકારીએ કહ્યું કે, એક વખત નિર્દેશોને અંતિમ રૂમ આપવા અને એરપોર્ટ સંચાલકોને નિયમો અનુસાર ટેકનોલોજી સ્થાપિત કરવાના નિર્દેશ અપાયા બાદ સમય મર્યાદા નક્કી કરાશે. ભારતના બહારના અન્ય એરપોર્ટ્સ પર સફળતાપૂર્વક હાજર મોડલ્સનું પણ અધ્યયન કરાઈ રહ્યું છે. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ મે મહિનામાં ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ડ્રોનના ઉપયોગ છે.   

Panchang

dd