નવી દિલ્હી, તા. 22 : દુનિયાના
સાત દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓ સોમવારે ભારતમાં હશે. ભારતની સર્વોચ્ય અદાલતના ઈતિહાસમાં
આવો પ્રસંગ પહેલીવાર થવા જઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેવાના છે. ભારતીય ન્યાયપાલિકાના ઈતિહાસમાં આવો
પહેલો અવસર હશે, જ્યારે કોઈ મુખ્ય ન્યાયમૂર્તિના
શપથગ્રહણમાં આટલી સંખ્યામાં બીજા દેશોના ન્યાયિક પ્રતિનિધિ મંડળની ઉપસ્થિતિ હશે. સમારોહમાં
ભુતાન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, નેપાળ, શ્રીલંકા અને
બ્રાઝિલના મુખ્ય ન્યાયમૂર્તિઓ તેમના પરિવારજનો સાથે સામેલ થશે. શપથગ્રહણ સમારોહ માટે
રાષ્ટ્રપતિ ભવનમાં નિમંત્રણ પત્રો બનીને તૈયાર થઈ ગયા છે. એ સિવાય પણ તમામ તૈયારીઓ
જારી છે. જસ્ટિસ સૂર્યકાંતના ત્રણેય ભાઈ ઋષિકાંત, શિવકાંત અને
દેવકાંતને પણ શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા આમંત્રણ અપાયું છે. મુખ્ય ન્યાયમૂર્તિ બનવા
જઈ રહેલા જસ્ટિસ સૂર્યકાંતનાં પત્ની સવિતા અંગ્રેજીના પ્રાધ્યાપક થયા પછી કોલેજના પ્રિન્સિપાલનાં
પદ પરથી નિવૃત્ત થયા છે. તેમની બે પુત્રી મુગ્ધા અને કનુપ્રિયા અભ્યાસ કરી રહી છે.
ઋષિકાંતે કહ્યું હતું કે, એક દિવસ પહેલાં દિલ્હી પહોંચી જશું.
મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈનો કાર્યકાળ આવતીકાલે રવિવારે પૂરો થઈ રહ્યો છે.