એમ્સ્ટરડેમ, તા. 22 : વિદેશમંત્રી
એસ. જયશંકરે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને કટ્ટરપંથી ગણાવ્યા છે. નેધરલેન્ડ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનના સેનાધ્યક્ષ ચીફ અસીમ મુનીરના વિચારો
અને વર્તનમાં ધાર્મિક કટ્ટરતા સ્પષ્ટપણે દેખાય છે. જયશંકરે કહ્યું હતું કે,
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે સીધી
વાતચીત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતે બધા દેશોને સ્પષ્ટપણે
કહ્યું કે, જો પાકિસ્તાન ગોળીબાર બંધ કરવા માગતું હોય તો તેણે
ભારતીય જનરલને ફોન કરીને જણાવવું પડશે. યુદ્ધ રોકવામાં અમેરિકાની ભૂમિકાના પ્રશ્ન પર
જયશંકરે જણાવ્યું કે, જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી
રહ્યો હતો ત્યારે અમેરિકા સહિત ઘણા દેશોએ સમાધાન કરવા પ્રયાસ કર્યો હતો. અમેરિકા એકમાત્ર
એવો દેશ નહોતો, અન્ય દેશો પણ વાતચીત કરી રહ્યા હતા, પરંતુ ઘર્ષણ બંધ કરવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત પછી લીધો
હતો.