નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે એક ધ્યાન ખેંચતી ટિપ્પણીમાં કહ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ તમામ હદો
પાર કરી નાખી છે. એજન્સી દેશના સંઘીય ઢાંચાનું ઉલ્લંઘન કરી રહી છે. કોર્ટે તામિલનાડુ
સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન અને તામિલનાડુ સરકારની અરજી પર સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી
કરી હતી. ઇડીએ તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશનનાં વડા મથક પર દરોડા બાદ કહ્યું
હતું કે, અમને એક હજાર કરોડ રૂપિયાની હેરાફેરીની જાણ થઇ છે. અદાલતે
ઇડીને તપાસ, દરોડા રોકવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ
બી. આર. ગવઇએ કહ્યું હતું કે, આપ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધી
શકો, પરંતુ નિગમ વિરુદ્ધ નહીં. મુખ્ય ન્યાયમૂર્તિએ અધિક સોલિસીટર
જનરલ એસ. વી. રાજુને પૂછ્યું હતું કે, નિગમ વિરુદ્ધ કેસ કેવી
રીતે બનાવાયો. અધિક સોલિસીટર જનરલે દાવો કર્યો હતો કે, આ એક હજાર
કરોડની છેતરપિંડીનો મામલો છે, તેના પર ગવઇએ જણાવ્યું હતું કે,
રાજ્ય પહેલાંથી કાર્યવાહી કરી જ રહ્યું છે. ઇડીએ બિનજરૂરી રીતે તપાસ
શા માટે કરવી જોઇએ, તેવો સવાલ પણ મુખ્ય ન્યાયમૂર્તિએ ઉઠાવ્યો
હતો.