બીકાનેર, તા. 22 : પાકિસ્તાનની દરેક હરકતનો જવાબ
અપાશે. અણુબોમ્બની પોકળ ધમકીઓથી ભારત કદી ડરવાનું નથી. હવે મોદીની નસોમાં લોહી નહીં, પરંતુ સિંદૂર વહે છે. `ઓપરેશન સિંદૂર' માત્ર આક્રોશ નથી, પરંતુ
સમર્થ ભારતનું રૌદ્રરૂપ છે... પાકિસ્તાનમાં નવ આતંકવાદી અડ્ડાને નષ્ટ કરી દેનાર ભારતીય
સેનાઓના આક્રમક હુમલાના બરાબર એક મહિના બાદ ગુરુવારે રાજસ્થાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ સરહદ નજીકથી દુનિયાને આવો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ બીકાનેરના પલાનામાં
સભા સંબોધતાં જણાવ્યું હતું કે, અમારી સરકારે ત્રણેય સેનાને ખૂલી
છૂટ આપી હતી. ત્યારબાદ શૂરવીર સેનાઓએ પાકિસ્તાનને ઘૂંટણિયે પડી જવા મજબૂર કરી દીધું
હતું. જિલ્લા મથકથી 22 કિલોમીટર
દૂર પાકિસ્તાન નજીકની સીમા પાસે દેશનોકમાંથી 103 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ તેમજ 26 હજાર કરોડ રૂપિયાનાં વિવિધ
વિકાસકામોની પાયાવિધિ અને લોકાર્પણ વડાપ્રધાને
કર્યાં હતાં. મોદીએ મક્કમ સ્વરે ચેતવણી આપી હતી કે,
ભારતીયોના જીવ સાથે ચેડાં કરનારા કોઇને પણ છોડાશે નહીં. ભારતીયોના લોહી
સાથે રમત પાકિસ્તાનને મોંઘી પડશે. આ ભારતનો સંકલ્પ છે. દુનિયાની કોઇ જ તાકાત આ સંકલ્પને
ડગાવી નહીં શકે. વડાપ્રધાને કહ્યું હતું કે, પહેલાં ઘરમાં ઘૂસીને
પ્રહાર કર્યા હતા. હવે સીધો સામી છાતીએ પ્રહાર કર્યો છે. આતંકવાદની ફેણ કચડવાની આ જ
નીતિ છે. આ જ રીતિ છે. આ જ ભારત છે. આ જ નવું ભારત છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે,
હવેથી દરેક આતંકવાદી હુમલાની પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડશે. આ
કિંમત પાકની સેના અને અર્થવ્યવસ્થા ચૂકવશે, તેવું મોદી બોલ્યા
હતા. વડાપ્રધાને વધુ એકવાર કહ્યુyં હતું કે, હવે પાક
સાથે વાત થશે તો માત્ર પીઓકે પર, માત્ર આતંકવાદ પર. હું બીકાનેરના
નાલ એરબેઝ પર ઊતર્યો. પાકિસ્તાને આ એરબેઝનેય નિશાન બનાવવાની કોશિશ કરી હતી,
પરંતુ જરા જેટલુંય નુકસાન ન થયું. અહીંથી થોડેક દૂર પાકિસ્તાનનો રહીમ
યાર ખાન એરબેઝ છે, જે આઈસીયુનાં બિછાને પડયો છે, તેવું મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન બોલ્યા હતા કે, પાકિસ્તાન ભારત સામે સીધી લડાઈ કદી જીતી નહીં શકે, જ્યારે
પણ લડાઈ થાય છે ત્યારે પછડાટ ખાય છે. એટલે જ આતંકવાદનો હથિયાર હવે ઉપયોગ કરે છે. આખી
દુનિયામાં પાકની પોલ ખોલવા અમારાં સાત પ્રતિનિધિ મંડળ જઈ રહ્યાં છે. હવે પાકિસ્તાનનો
અસલી ચહેરો આખી દુનિયાને બતાવાશે, તેવું મોદીએ જણાવ્યું હતું.