નવી દિલ્હી, તા. 22 : ઓપરેશન સિંદૂર
બાદ પાકિસ્તાન દ્વારા સતત સરહદે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને આતંકવાદીઓને ભારતમાં
ઘુસાડવાના પ્રયાસ થઈ રહ્યાા છે. આવા જ એક મોટા પ્રયાસને ભારતે નાકામ કર્યો છે. બીએસએફના
જવાનોએ 45-50 આતંકીઓની ભારતમાં ઘુસવાની કોશિશ
નાકામ કરી દીધી છે. આ ઉપરાંત જમ્મુ સરહદે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અટકચાળાનો
જોરદાર જવાબ આપીને પાકિસ્તાનની પાંચ ચોકી, એક આતંકી લોન્ચ પેડ અને ઘણા બંકર તબાહ કરી નાખ્યા
છે. જ્યારે કિશ્તવાડમાં એક મહત્વના ઓપરેશનમાં બે આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર કર્યા
હતા. એક જવાન શહીદ થયો હતો. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જીલ્લામાં ગુરૂવારે સવારે થયેલા
એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા છે. સેનાની 11 રાષ્ટ્રીય રાઈફલ્સ, બે પેરા સ્પેશિયલ ફોર્સ, સાતમી આસામ રાઈફલ્સ અને કિશ્તવાડ એસઓજીની સંયુક્ત ટીમ સિંધપોરા છત્રુના જંગલમાં
તલાશી અભિયાન ચલાવી રહી હતી. આ સમયે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં
બે આતંકી ઢેર કરવામાં આવ્યા હતા. સ્થળ ઉપર ત્રણથી ચાર આતંકવાદી છુપાયા હોવાની આશંકાએ
સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. આ આતંકીઓમાં કુખ્યાત સૈફુલ્લાહ સામેલ હોવાની
સંભાવના વ્યક્ત થઈ હતી. બીજી તરફ એક અભિયાનમાં બીએસએફએ જમ્મુ સીમા ઉપર પાંચ પાકિસ્તાની ચોકી અને એક આતંકી લોન્ચ પેડ નષ્ટ કર્યા
હતા. બીએસએફ કમાન્ડેંટ ચંદ્રેશ સોનાએ કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં
આવ્યો હતો. જેનો જડબાતોડ જવાબ અપાયો છે. જવાબી કાર્યવાહીમાં મસ્તપુરમાં આતંકી લોન્ચપેડ
નષ્ટ કરાયું છે. જ્યારે પાંચ જેટલી પાકિસ્તાની ચોકી પુરી રીતે નષ્ટ થઈ છે. આ ઉપરાંત
ઘણા બંકર પણ નષ્ટ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર પાકિસ્તાન દ્વારા સરહદે સતત ગોળીબાર
કરવામાં આવી રહ્યો છે અને ગોળીબારની આડમાં આતંકીઓને ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો
છે. આવી જ રીતે સાંબા જીલ્લામાં ઘુસણખોરીની કોશિશ કરવામાં આવી હતી. જો કે બીએસએફએ કોશિશને તાકીદે નાકામ કરી દીધી હતી. અંદાજીત 45-50 આતંકી ભારતમાં ઘુસવા તૈયાર
હતા. બીએસએફના ડીઆઈજી એસએસ મંડના કહેવા પ્રમાણે
આતંકીઓને ભારતમાં ઘુસાડવા પાકિસ્તાની સેના દ્વારા જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
જો કે જવાનોએ વળતી કાર્યવાહી કરીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડયું છે. એક ગુપ્તચર
ઈનપુટ મળ્યા હતા કે આતંકીઓનું મોટું ટોળું ઘુસણખોરીની તૈયારીમાં છે.