• રવિવાર, 01 જૂન, 2025

ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ યથાવત્

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 20 : ઓપરેશન સિંદૂરની શરૂઆત પહેલાં પાકિસ્તાનને સાવચેત કરવામાં આવ્યું હતું કે, કેમ એ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામી નિવેદનબાજી ચાલી રહી છે એમાં ભાજપે આક્રમક વલણ અપનાવી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની તસવીર સાથે વિવાદિત છેડછાડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. ભાજપના આઇટી સેલના આ પ્રહાર બાદ કોંગ્રેસે પણ ભાજપ અને માલવિયા પર આક્રમક નિવેદનો આપ્યાં છે. એ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં એક સભામાં ઓપરેશન સિંદૂર માટે છૂટપૂટ યુદ્ધ (નાનું યુદ્ધ)ને શબ્દ પ્રયોગ કરતાં ભાજપ નેતા સમ્બિત પાત્રાએ પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, આ દેશ અને સશત્ર દળોના શૌર્ય સાથે દ્રોહ સમાન વાત છે. ભાજપના આઇટી સેલના ચીફ અમિત માલવિયાએ એક્સ પર રાહુલ ગાંધી અને પાકિસ્તાની સેનાના જનરલ અસિમ મુનિરની તસવીર જોડીને કોંગ્રેસના નેતા પાકિસ્તાન તરફથી નિવેદનો આપી રહ્યાનો આક્ષેપ કર્યો છે. આવી વિવાદિત તસવીર બનાવી માલવિયાએ નીચે લખ્યું હતું કે, રાહુલ ગાંધી માટે હવે પછી શું ?..નિશાન-એ-પાકિસ્તાન (અવોર્ડ)? છેલ્લા બે દિવસથી રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ વિદેશ પ્રધાન એસ. જયશંકરના એક નિવેદનના કારણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. જયશંકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મિલિટરી ઓપરેશન્સ (ઓપરેશન સિંદૂર) શરૂ કરતા પહેલાં ભારત તરફથી પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી કે, ભારતીય સેના પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરવાનો છે, અમારો ઇરાદો પાકિસ્તાનના નાગરિકો કે સેના પર હુમલાનો નથી, તેથી પાકિસ્તાની સેનાને આ કાર્યવાહીમાં વચ્ચે આવવું કે નહીં એની પસંદગી કરવાની છે. માલવિયાએ વધુમાં ટ્વીટ કર્યું હતું કે, રાહુલ ગાંધી પાકિસ્તાનના હિતમાં નિવેદનો આપી રહ્યા છે એનું આશ્ચર્ય નથી. રાહુલ ગાંધીએ પાકિસ્તાનને પાસરૂં કરતા ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન મોદીને અભિનંદન પણ નથી આપ્યા. એક વાર પણ રાહુલ ગાંધીએ એ નથી પુછયું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના કેટલા વિમાનોને તોડી પાડયાં..કે પાકિસ્તાનના એરબેઝમાં હુમલા દરમ્યાન પાર્ક કરાયેલાં કેટલા વિમાનો નષ્ટ થયાં. રાહુલ ગાંધી તો સતત એ પુછી રહ્યા છે કે, ભારતે કેટલા વિમાન ગુમાવ્યા..આ સવાલનો જવાબ તો ડીજીએમઓની બ્રિફિંગમાં પણ મળી ગયો છે.  માલવિયાના આકરા પ્રહારના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ભાજપ અને માલવિયા પર પ્રહાર કર્યા હતા. ખેડાએ ઓપરેશન સિંદૂર સંબંધે સરકારને પ્રશ્નો કરવા સાથે જ નામ લીધા વગર વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા હતા. ખેડાએ કહ્યું હતું કે, વિદેશ પ્રધાન કહે છે એમ પાકિસ્તાનને હુમલા પહેલા જ ચેતવણી આપી હતી કે, કેમ એ સરકારે સ્પષ્ટ કરવું જોઇએ.  ભારતે અગાઉ કહેલું કે આતંકવાદી છાવણીઓ નષ્ટ કરવાના છીએ એટલે જ મસૂદ અઝહર અને હાફિઝ સઇદ જેવા ખતરનાક વૈશ્વિક આતંકવાદીઓ પોતાની છાવણીઓ છોડીને અન્યત્ર નાસી ગયા હતા? એનો જવાબ પણ સરકારે આપવો જોઇએ. માલવિયાની  નિશાન-એ-પાકિસ્તાન સંબંધી ટીપ્પણીના જવાબમાં ખેડાએ કહ્યું હતું કે, પાકિસ્તાનનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન એક માત્ર ભારતીય નેતાને મળ્યું છે એ દિવંગત મોરારજી દેસાઇ છે, હવે કદાચ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પાકિસ્તાન એવોર્ડ માટે પસંદ કરશે. ત્યારબાદ એ નેતાનો નંબર લાગશે જે વગર નિમંત્રણે પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફનાં ઘરે બિરયાની ખાવા પહોંચી ગયા હતા. આવું કહીને ખેડાએ વડાપ્રધાન મોદી પર નામ લીધા વગર જ પ્રહાર કર્યો હતો, 2015માં વિદેશ યાત્રાએથી પરત આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન અચાનક પાકિસ્તાનમાં ઉતર્યું હતું અને પ્રોટોકલ તોડીને તેઓ અચાનક શરીફને મળવા પહોંચી ગયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd