નવી દિલ્હી, તા. 20 : બેંગ્લોરમાં
ગઇકાલથી જારી વરસાદે તારાજી સર્જી હતી. 500થી વધુ ઘરમાં પાણી ભરાઇ ગયાં હતાં, જ્યારે પાંચનાં મોત થયાં હતાં. બીજી તરફ,
હવામાન વિભાગ (આઇએમડી)એ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત 11 રાજ્યમાં વાવાઝોડાં અને વરસાદ
સાથે તોફાનનું એલર્ટ જારી કર્યું હતું. ઝારખંડમાં વીજળી પડવાથી પાંચ અને મહારાષ્ટ્રમાં
બે લોકોનાં મોત થયાં છે. બેંગ્લોરમાં ગઇકાલથી શરૂ થયેલા ભારે વરસાદે તારાજી સર્જી છે.
શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. 500થી વધુ ઘરમાં પાણી ભરાઇ ગયાં હતાં. છેલ્લા 36 કલાકથી વરસતા વરસાદે આફતનું
રૂપ ધર્યું છે. અહીં વરસાદી પાણીમાં ફસાયેલા 150ને બચાવવામાં આવ્યા હતા. સાઇલેઆઉટમાં પહેલા માળ સુધી પાણી ભરાતાં
લોકો પરેશાનીમાં મુકાયા છે. અત્યાર સુધી 12 વર્ષના બાળક સહિત પાંચ મોત નોંધાયાં હતાં. હવામાન વિભાગે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં
ગરમીનાં મોજાંની ચેતવણી જારી કરી હતી. મેદાની વિસ્તારોમાં મધ્યપ્રદેશના ખજુરાહોમાં
પારો 46 ડિગ્રી નોંધાયો હતો. આઇએમડીએ
કેરળના વાયનાડ અને ઉત્તરીય જિલ્લાઓ કાસરગોડ, કન્નુર, વાયનાડ અને કોઝિકોડ માટે રેડ એલર્ટ જારી કર્યું
હતું. પલક્કડ, મલપ્પુરમ્ અને ત્રિશૂર માટે ઓરેન્જ એલર્ટ જારી
કરવામાં આવ્યું હતું. કારણ કે, પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે
વરસાદ ચાલુ છે. ગુવાહાટીમાં પણ ધોધમાર વરસાદથી ચોમેર પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે
ઇડુક્કી, એર્નાકુલમ, કોટ્ટાયમ, અલાપ્પુઝા અને પથાનમથિટ્ટા માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમ જેમ વરસાદ
ચાલુ રહેશે તેમ તેમ ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શકયતા વધી શકે છે,
એમ હવામાન ખાતાંએ જણાવ્યું હતું.