• રવિવાર, 01 જૂન, 2025

ભારતમાં કોરોનાનાં પગરણ : બે મોતનો દાવો

નવી દિલ્હી, તા.20 : સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડના કેસોમાં અચાનક ઉછાળા વચ્ચે ભારતમાં પણ કોરોનાનાં પગરણ થઈ ચૂકયા છે. મુંબઈમાં બેનાં મોત થયાં હતાં. જો કે, તબીબોએ તે પાછળ ગંભીર રોગ કારણભૂત ગણાવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ગઈકાલ સુધી 257 સક્રિય કેસ સામે આવ્યા હતા. જો કે, લોકોને ગભરાટ ન રાખવા અનુરોધ કરાયો છે.  મુંબઈમાં જ 53 કેસ નોંધાયા હોવાનું કહેવાય છે.  મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં બે કોવિડ પોઝિટિવ દર્દીઓનાં મોતના હેવાલ હતા. જો કે, ડોકટરોનું કહેવું છે કે, તેમના મૃત્યુ કોવિડને કારણે નહીં પરંતુ ગંભીર રોગોને કારણે થયાં હતાં. એક દર્દીને મોઢાનું કેન્સર હતું અને બીજા દર્દીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું, જે કિડની સંબંધિ રોગ હતો. દરમિયાન એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. આ દેશોમાં નવા કેસોની સંખ્ય વધતાં ચિંતા ફેલાઈ છે. અહેવાલ મુજબ, પહેલી મેથી 19 મે દરમિયાન સિંગાપોરમાં 3000 દર્દી મળી આવ્યા હતા. એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 11,100 હતી. અહીં કેસોમાં 28 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીથી હોંગકોંગમાં 81 કેસ નોંધાયા છે. જેમાંથી 30 લોકોનાં મોત થયાં હતાં. ચીન અને થાઈલેન્ડમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે, દર્દીઓની સંખ્યા અંગે અહીં કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારતમાં 1 જાન્યુઆરીથી 19 મે સુધીમાં 257 કેસ નોંધાયા છે. જો કે, આ તમામમાં હળવાં લક્ષણ હોવાના અને કોઈને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડી હોવાનું જણાવાયું હતું. ભારતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીથી 19 મે સુધીમાં દેશમાં ફક્ત 257 કેસ નોંધાયા છે. જો કે, સરકારના જણાવ્યા અનુસાર, ભારતમાં કોવિડ-19ની સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે. મુંબઈના ડોકટરોએ હળવા લક્ષણોવાળા વધુ કેસ જોયા છે. ખાસ કરીને યુવાનોમાં, પરંતુ નવી લહેરના કોઈ અહેવાલ નથી. પડોશી દેશોમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય  આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવા અને રસી લેવાની સલાહ આપી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd