• બુધવાર, 16 જુલાઈ, 2025

ગુજરાતમાં ભરઉનાળે વરસાદ

અમદાવાદ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પડયો છે તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડયા હોવાનું સામે આવ્યું છે. આજે રવિવારે વહેલી સવારથી જ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 8 મે સુધી રાજ્યના  મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું. એવામાં કમોસમી વરસાદે અમદાવાદના ખેડૂતનો જીવ લીધો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાં ખેડૂત મંગાજી ઠાકોર વરસાદ આવતો હોવાના કારણે ખેતરમાં પાકને તાડપત્રીથી ઢાંકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન આકાશમાંથી મોતના સ્વરૂપે વીજળી સીધી ખેડૂત ઉપર પડી. જેના કારણે ખેડૂતનું મોત નીપજતાં સમગ્ર ગ્રામજનો તેમજ કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે.  દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ હવે આવતીકાલે 5ાંચ મેના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના, કરા પડવા, પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની પણ આગાહી છે. આ સાથે મહેસાણા, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે. રાજ્યમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં 6 મેના સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 70-80 કિલો.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે કમોસમી વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાં મધ્યમ મેઘગર્જનાની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી 7 મેના રાજ્યના 26 જિલ્લામાં ભારેથી અતિભારે માવઠાની આગાહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે કમોસમી વરસાદને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. આ સિવાયના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, ડાંગ, વરસાડ અને મહેસાણા જિલ્લામાં પણ 60-80 કિલો.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીની ચેતવણી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 મેના રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્મ-દક્ષિણ ગુજરાતના 14 જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા જિલ્લાના અનેક સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે કમોસમી વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત અને તાપી જિલ્લામાં ભારે કમોસમી વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.   રાજ્યમાં 4 દિવસ દરમિયાન વીજળી, કરા પડવા, પવન ફૂંકાવાની સાથે હળવાથી ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગે લોકોને સજાગ રહેવા માટે મહત્તપૂર્ણ સૂચના આપી છે. 

Panchang

dd