ગાંધીધામ, તા. 18 : ચેક પરતના બે જુદા-જુદા કેસમાં
ગાંધીધામની કોર્ટે મીઠી રોહરના રમજુ ઓસમાણ
ચાવડા અને ગાંધીધામના નટવરભાઈ નારણભાઈ ઠાકોરને તકસીરવાન ઠરાવી એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો આદેશ કર્યો હતો. આ કેસની વિગતો
મુજબ આરોપી રમજુ ઓસમાણ ચાવડા (રહે. મીઠીરોહર, તા. ગાંધીધામ)એ મેસર્સ ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની પાસે
વાહન ખરીદી માટે લોન લીધી હતી, જે પેટે અપાયેલો ચેક અપૂરતા ભંડોળના
શેરા સાથે પરત થયો હતો. ત્યારબાદ ફાઈનાન્સ કંપની દ્વારા કાનૂની કાર્યવાહી કરાઈ હતી.
ગાંધીધામ કોર્ટે બંને પક્ષે રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને આરોપી રમજુને
તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની
સજા તથા વળતર પેટે ચેકની રકમ રૂા. 3,12,174 ફરિયાદીને
ચૂકવવા આદેશ કર્યો હતો અને જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો
હતો. ફરિયાદી કંપની વતી ધારાશાત્રી ધીરજલાલ કાતરિયાએ દલીલો કરી હતી. ગાંધીધામમાં ફરિયાદી
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લિમિટેડ
પાસેથી આરોપી નટવરભાઈ નારણભાઈ ઠાકોરે લોન લીધી
હતી, જેની સામે આરોપીએ ચેક આપ્યો હતો, જે પરત થયો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ ગાંધીધામ કોર્ટમાં થયેલી કાર્યવાહીમાં
અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવીને એક વર્ષની
સાદી કેદની સજા ફટકારી હતી. તેમજ વળતર પેટે
ચેકની રકમ રૂા. 8.30 ફરિયાદીને
60 દિવસમાં ચૂકવી આપવા તથા તેમ કરવામાં કસૂર થાય તો વધુ એક માસની
સજાનો આદેશ કર્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાત્રી દીપક ભાનુશાલી અને નરેશ ધેડાએ દલીલો
કરી હતી. - અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપી
નિદોર્ષ : અંજાર
તાલુકાના દુધઈ પોલીસ મથકમાં 14 વર્ષીય કિશોરીના અપહરણ
સાથે તેના ઉપર બળાત્કાર ગુજરાવામાં આવ્યો હોવાના મુદે આરોપી મહેશ માનસિંગભાઈ ડામોર વિરુધ્ધ ગુન્હો નોંધાયો હતો.
આ કેસ અંજારની અદાલતમાં ચાલી ગયો હતો.પક્ષકારોની
રજૂઆત અને પુરાવાને આધારે આ આરોપીને નિદોર્ષ મુકત કરવા અદાલતે ચુકાદો આપ્યો હતો. બચાવપક્ષે ધારાશાત્રી
ગુલામશા શેખ, યાકુબહુશેન શેખ,
મમતા ગેડીયા, રાહુલ રાઠોડ,સાવન ગોસ્વામી, ઈમરાન
રાજા,નરેન્દ્રસિંહ જાડેજા
રહયા હતા.