નવી
દિલ્હી,
તા. 29 : શું ઘરઆંગણે કહેવામાં આવેલી વાતને પણ સાર્વજનિક
માની શકાય? કેરળ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા એક
ફેંસલામાં આનો જવાબ હકારાત્મક આપવામાં આવ્યો છે. આ ફેંસલામાં એસસી, એસટી એક્ટ હેઠળ જાહેર વિધાન કે અભિપ્રાયની પરિભાષાને વ્યાપક બનાવી દેવામાં
આવી છે. હાઈકોર્ટે અનુસૂચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ
(એટ્રોસીટી) અધિનિયમ હેઠળ પબ્લિક વ્યૂની મહત્ત્વપૂર્ણ વ્યાખ્યા કરતાં કહ્યું હતું
કે, કોઈ પણ ખાનગી સ્થાને કહેવામાં આવેલી જાતિસૂચક ટિપ્પણી પણ
જાહેર દૃષ્ટિના દાયરામાં આવી શકે છે. જો કે, એ વખતે ત્યાં
અન્ય લોકો મોજૂદ હોવા જોઈએ અને કહેવામાં આવેલા શબ્દો સાંભળી શકાતા હોવા જોઈએ.કેરળ
હાઈકોર્ટે આ કાયદાની મહત્ત્વની વ્યાખ્યા કરતાં એસસી, એસટી
એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં બે આરોપીને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
અદાલતે કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આમાં અપરાધ બને છે અને
તેથી આગોતરા જામીન ઉપર રોક લાગુ થશે. આ આદેશ મહત્ત્વનો અને વ્યાપક અસર કરવાનો છે,
કારણ કે, હવે આરોપી ખાનગી જગ્યામાં અપમાન
કર્યાની દલીલ આપીને પણ બચી જાય તેવું જરૂરી રહેશે નહીં. જો સાબિત થશે કે, એ વખતે ત્યાં અન્ય લોકો પણ હાજર હતા અને આ ત્રાહિત લોકોએ પણ કહેવામાં
આવેલા અપમાનજનક શબ્દો સાંભળ્યા હશે તો આરોપી તે પણ એસસી-એસટી એક્ટના દાયરામાં જ
આવી જશે.