ગાંધીધામ, તા. 27 : આદિપુરથી અંજાર જતા માર્ગ ઉપર
શનિદેવ મંદિર આસપાસ તથા શિણાય આસપાસના વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોએ રીતસરનો આતંક મચાવ્યો
છે. શિણાય જતા માર્ગ ઉપર બેઠેલા કિશોર-કિશોરીને પોલીસ મથકે લઇ જવાનું કહી કિશોરીનું
અપહરણ કરી મારી નાખવાની- સામૂહિક બળાત્કાર ગુજારવાની ધમકી આપી જાતીય સતામણી કરનારા
બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વધતા જતા આવા બનાવોને પગલે ભારે ચિંતા
પ્રસરી છે. આદિપુર નજીક શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા માર્ગ ઉપર ગત તા. 26-6ના સમી સાંજે આ જઘન્ય બનાવ
બન્યો હતો. આ માર્ગ ઉપર ભોગ બનનાર કિશોરી અને કિશોર હાજર રહ્યા હતા,
ત્યારે ત્યાં બે શખ્સ આવ્યા હતા અને કિશોરને પોલીસ મથકે લઇ જવાની ધમકી
આપી હતી અને મોપેડમાં બેસાડી અપહરણ કર્યું હતું. બાદમાં ભોગ બનનાર કિશોરીને ટેકરી જેવી
જગ્યાએ લઇ જઇ ત્યાં તેની સાથે બળજબરી કરવામાં આવી હતી. જાતીય સંબંધ બાંધવાની કોશિશ
કરી હતી, કિશોરીએ તેનો પ્રતિકાર કરતાં આ શખ્સો સંબંધ બાંધવા ન
દે તો અહીં જ મારીને દાટી દેવાની તથા બીજા
ભાઇબંધોને બોલાવીને સામૂહિક બળાત્કાર ગુજારવાની ધમકી આપી હતી. આ નરાધમે કિશોરી સાથે
જાતીય સતામણી કરી હતી. બાદમાં કિશોરીને એક શખ્સ અંજાર બાજુ નાયરા પંપ સુધી લઇ જઇ ત્યાં
ઉતારીને નાસી ગયો હતો, જ્યારે બીજો આરોપી ભોગ બનનાર કિશોરને પોતાની
સાથે બેસાડીને શનિદેવ મંદિર બાજુ લઇ જઇ રહ્યો હતો, ત્યારે કિશોરે
હિમંત બતાવીને આ શખ્સનું બાઇક પાડી દઇ તેની સાથે ઝપાઝપી કરતાં આ આરોપી કાળા રંગનું
સુઝુકી કંપનીનું જીક્ષર નંબર પ્લેટ વગરનું બાઇક ત્યાંજ મૂકીને નાસી ગયો હતો. ભોગ બનનાર
કિશોરીએ પરિવારજનોને આપવીતી વર્ણવતાં તેમના પર આભ તૂટી પડયું હતું. આ આરોપીઓ વિરુદ્ધ
આદિપુર પોલીસે વિવિધ કલમો તળે ગુનો દર્જ કરીને તેમને પકડી પાડવા કમર કસી છે. શિણાય
તળાવની આસપાસ તથા શનિદેવ મંદિરથી શિણાય બાજુ જતા નર્મદા કેનાલ પાસેના માર્ગ ઉપર અગાઉ
પણ આવા બનાવો બની ચૂકયા છે, ત્યારે આ વિસ્તારમાં સમી સાંજે અને
રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકોની માંગ ઊઠી હતી.