માંડવી, તા. 27: ભારત તથા વિદેશમાં ટિસ્યૂ કલ્ચરથી
વાવવામાં આવતી ખારેક અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે ખેડૂતોમાં જાગૃતતા લાવવાના હેતુથી
કચ્છ ક્રોપ સર્વિસિસ પ્રા.લિ. દ્વારા ખારેક ઉત્સવ-2025 યોજાયો હતો. કિનુવાડી, માંડવી ખાતે યોજાયેલા કાર્યક્રમના પ્રારંભે ઉદ્યોગપતિ દિપેશભાઈ શ્રોફ,
પ્રીતિ શ્રોફ, ડિરેક્ટર સંજીવ મંત્રી, સીઈઓ પરિણિતા ગોહિલ, જનરલ મેનેજર આશિષ શર્મા,
ખેડૂત ગણેશ ચૌધરી, હરેશભાઈ ઠક્કર દ્વારા દીપ પ્રાગટય
કરાયું હતું. સંજીવભાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી શ્રોફે ખેડૂતોને સાથ - સહયોગ
કરવા માર્ગદર્શન પૂરું પાડયું હતું. ડો. હિતેશ નકુમે ખારેકમાં ટિસ્યૂ કલ્ચરના પ્રયોગો
સંબંધિત માહિતી આપી હતી. અરવિંદભાઈ પટેલે ખારેકની ખેતી પદ્ધતિ અને રોગ-જીવાત અંગે માર્ગદર્શન
આપ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓ અને ખેડૂતો વચ્ચે ભવિષ્યની શક્યતાઓ અંગે વિચારવિમર્શ
થયો હતો. કાર્યક્રમ દરમ્યાન સૌથી ઉત્તમ ખારેકના ફળોની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં
ત્રણ વિજેતાને સ્મૃતિચિહ્ન તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. મધ્યપ્રદેશ,
મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવેલા ખેડૂતોએ બાગાયતી આયોજન માટે એડવાન્સમાં
ખારેકના રોપાનું બુકિંગ કરાવ્યું હતું. આવનારા ભવિષ્યમાં ભારત અને વિદેશમાં ટિસ્યૂ
કલ્ચર ખારેકના રોપા અને તેની વૈજ્ઞાનિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નોમાં સહયોગી રહેશે
તેમ જણાવ્યું હતું. વ્યવસ્થા હિતેન્દ્રસિંહ જાડેજા તથા ટીમે સંભાળી હતી. સંચાલન જયેશ
શાહ તથા આભારવિધિ પરિણિતા ગોહિલે કરી હતી.