• બુધવાર, 21 મે, 2025

પાકને ભારે પડી રહ્યો છે ભારતનો `સંયમિત' જવાબ

મહાભારતનાં યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ સંયમ તૂટયો ને કૌરવ સેના સામે સુદર્શનચક્ર ઉઠાવ્યું હતું... ભારતે એ જ માર્ગ અપનાવ્યો છે. `ઓપરેશન સિંદૂર'ના 48 કલાક પછી આરપારની લડાઇ જારી છે. પાકિસ્તાને ગુરુવારની સાંજ પછી ચારેક સો ડ્રોન ભારત તરફ ધકેલ્યા જે તોડી પાડવામાં આવ્યાં. એ સિવાય રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોને નિશાન બનાવવાના પ્રયાસ આપણા ચુનંદા દળોએ નિષ્ફળ બનાવ્યા, બલ્કે દૃઢતા સાથે આક્રમક કાર્યવાહી કરીને પાકિસ્તાનને એક રાતમાં તોબા પોકારાવી દીધી છે. નાસીપાસ થયેલાં પાકિસ્તાનમાં આંતરવિગ્રહની સ્થિતિ રચાતી હોવાનું મીડિયા હેવાલો જણાવે છે. આ લખાય છે ત્યારે પાકિસ્તાની વડાપ્રધાન અને ત્યાંનું મીડિયા ભારતના દાવાઓને જૂઠા ઠેરવીને અપપ્રચાર લેખાવે છેહતાશામાં પાકે  સોશિયલ મીડિયામાં ભ્રામક ખબરો ફેલાવવાનો રસ્તો અપનાવ્યો છે, જેનો ભારત જવાબ આપી રહ્યું છે. તમાચો મારીને ગાલ લાલ રાખવાના ઉધામા પાકને જ ભારી પડવાના. ખુદ પાકિસ્તાની સેનેટમાં તેના સાંસદ સભ્યો ભયના માર્યા આંખોમાં આંસુ સારી પોતાની ફોજને અને વડાપ્રધાનને બીકણ-વિફળ લેખાવી રહ્યા છે. ભારતીય દળોની સચોટ કાર્યવાહીનું આ પ્રમાણ છે. ભારતે વિશ્વ સમુદાયને પણ સ્પષ્ટ કર્યું છે કે, અમે યુદ્ધ ઉન્માદ નથી. આપણી ક્ષમતા એટલી છે કે, 48 કલાકમાં ધારીએ તો પાકિસ્તાન ભડકે બળતું હોય, પણ સરકારનાં સત્તાવાર નિવેદન મુજબ ભારતીય ફોજે સંતુલિત અને જવાબદારી સાથે વળતી કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂરના બીજા દિવસે થયેલી કાર્યવાહીની વિગતોમાં કેટલીક વાત ચોંકાવનારી છે. પાકિસ્તાની દળોએ કોઇ પણ ઉશ્કેરણી વિના ડ્રોન અને મિસાઇલ છોડયા છે અને એ વખતે પણ નાગરિક હવાઇ ક્ષેત્ર બંધ નહોતું કર્યું. ભારતે જવાબી કાર્યવાહી વખતે પોતાની એર સ્પેસ બંધ કરી દીધી હોય પણ પાકિસ્તાન મિસાઇલ-ડ્રોન વછોડતું ત્યારે તેની એર સ્પેસમાં નાગરિક વિમાનો પસાર થઇ રહ્યાં હતાં... દેખીતી રીતે પાકિસ્તાન પેસેન્જર વિમાનોનો `ઢાલ' તરીકે ઉપયોગ કરી રહ્યું હતું. વિશ્વ સમુદાયે આ વાત ધ્યાને લેવી જરૂરી છે. યુદ્ધ હજુ વિસ્તરશે એવી પૂરી સંભાવના છે. પાકિસ્તાને દુનિયા સમક્ષ મગરના આંસુ વહેવડાવતાં આર્થિક મદદ માટે હાથ ફેલાવ્યા છે.  નાપાક શત્રુ સામે રાજદ્વારી હુમલામાં માહેર ભારતે આઇએમએફની લોન આતંકપરસ્ત પાકને ન મળે એ માટે રજૂઆતની તૈયારી કરી છે. એ દરમ્યાન અમેરિકા, યુરોપીય દેશો અને રશિયાએ મોદી સરકારને આ લડાઇમાં સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે હાથ ખંખેરતાં કહ્યું કે, ઉપખંડના સંઘર્ષમાં અમે ચંચુપાત કરવા માગતા નથી. આ શબ્દોનું મહત્ત્વ સમજવા જેવું છે. પાકિસ્તાનનો લોહિયાળ પંજો અને વિકૃત ચહેરો ખુલ્લો પડી ગયો છે. ભારતને છૂટો દોર મળ્યો છે કે, આતંકના જનકને એવો પાઠ ભણાવો કે કદી મા ભારતી સામે આંખ ઉઠાવવાની હિંમત ન કરે. યુદ્ધ જેવા માહોલમાં દેશભરમાં જુસ્સો બુલંદ છે. નવી દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકોમાં રણનીતિ ઘડાઇ-અમલમાં મુકાઇ રહી છે. પાકિસ્તાનના તેવર હજુ એવા જ છે. તેના વડાપ્રધાન ભારત પર તણાવ વધારવાનો આરોપ મૂકતાં આડકતરો અણુ હુમલાનો ભય દેખાડે છે. શાહબાઝ આડુંઅવળું બોલે એ માની લઇએ. ડૂબતો જણ તરણું પકડે એમ શરીફ પોતાની બદમાસી છુપાવવા હવાતિયાં મારી રહ્યા છે. તે દુશ્મન નેતા છે, પણ કમનસીબે આપણા નેતાઓએ તેમની જ ભાષા બોલે એ શરમજનક છે. પાકિસ્તાનના આતંકી માળખાં સામે ભારતની કાર્યવાહીને  તમામ વિરોધ પક્ષોએ ટેકો આપ્યો છે, ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉત કહે છે, આ બધું ઠીક... પહેલગામના હુમલાખોરોને પકડીને પરેડ કરાવો ત્યારે સાચા... દેશના સુરક્ષાદળોને જોમ જુસ્સો ચડાવવાના બદલે આવા નાસીપાસ કરતા બયાન શરમજનક છે. હવે શું ? એ પ્રશ્ન દિવસો સુધી રહેવાનો છે. ભારતદ્વેષી મીડિયામાં આપણી કાર્યવાહીનાં પરિણામ સામે પ્રશ્ન ઉઠાવતાં વિશ્લેષણ થઇ રહ્યાં છે, પણ સુરક્ષાદળો એકાગ્રતા સાથે પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત છે. જો કરના હૈ વો કરકે રહેંગે... પછી ઢોલ પીટવાની શી જરૂર ? એક તરફ ભારત ખોખરું કરી રહ્યું છે ને બીજી તરફ બલુચ લિબરેશન સેનાએ પાક સામે મોરચો માંડયો છે. આશ્ચર્યજનક રીતે ચીન જાહેરમાં શાંત જણાય છે, પણ સંરક્ષણ નિષ્ણાતો ચેતવતાં કહે છે કે, આ બધા પાછળ ચીનનું જ શેતાની ભેજું છે. અત્યારના આકાશી યુદ્ધ દરમ્યાન પાકિસ્તાન તરફથી જે ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ થયો એ ચીની અને તુર્કી બનાવટનાં છે. આપણા સુરક્ષાદળોની સચોટ વેધક ક્ષમતા, હિંમત, દેશભક્તિ, સતર્કતા અને સૂઝબૂઝને સલામ છે. કાશ્મીરમાં પાકિસ્તાની ગોળીબાર, તોપમારામાં પૂંચ, રાજૌરીમાં નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા છે. આ લખાય છે ત્યારે પણ ડ્રોન ઘૂસણખોરી જારી છે. પાકિસ્તાનના હુમલાથી ભારતીય સૈન્યને પણ નુકસાન થયું છે. આપણા દળોએ પાકિસ્તાનને ખોખરું કરવામાં કંઇ બાકી નથી રાખ્યું. આખાય હિન્દુસ્તાનના સરહદી ઇલાકાઓમાં પાકના તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા છે. અત્યાધુનિક રક્ષા કવચ (સુદર્શનચક્ર)એ ગજબનું કામ આવ્યું છે. પાકિસ્તાને ભારતના કેટલાંક શહેરો સહિત 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પણ તે ખાખમાં મેળવી દેવાયો. સરહદે હજુ સામસામે વાર-પ્રહાર ચાલુ છે. યુદ્ધ ગમે ત્યારે મોટું સ્વરૂપ લઇ શકે છે. ભારતનો સંદેશ સ્પષ્ટ છે. હવે પાકિસ્તાન છંછેડશે તો અમે છોડશું નહીં. પાકિસ્તાને જાતે દેશની જનતાનું ભાવિ દાવ પર લગાવી દીધું છે. દુનિયાના મહત્ત્વના દેશો મોદી સરકારને કોઇ સલાહ સૂચન કરવાથી દૂર રહ્યા છે એ આપણી શકિત-સામર્થ્યનું પ્રમાણ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd