સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે,
મૌલિક અધિકાર થાળીમાં પીરસાઈને નથી મળતા, તેની
સાથે ફરજ અને જવાબદારીઓ પણ સંકળાયેલી હોય છે. કોર્ટે રણવીર અલાહાબાદિયાને શાલીનતા અને
નૈતિકતાના માપદંડો જાળવી રાખવાની શરત પર પોતાનો પોડકાસ્ટ `ધ રણવીર શો' ફરી શરૂ કરવાની પરવાનગી આપી છે. જસ્ટિસ સૂર્યકાંત
અને એન.કે. સિંહની બેન્ચે એ વાતને ધ્યાનમાં રાખતા શો શરૂ કરવાની અનુમતિ આપી છે,
કે આના શોના પ્રસારણ પર આશરે 200 કર્મચારીની આજીવિકા નિર્ભર છે. સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું
કે, અમે જાણીએ છીએ કે, કેટલાક
લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામ પર લેખ લખી રહ્યા છે. અમે એ પણ જાણીએ છીએ છે કે,
આ લોકોને કેવી રીતે પહોંચી વળવા. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ઓનલાઈન મીડિયા
પર અશ્લીલ સામગ્રીના વિતરણને નિયંત્રિત કરવા સિસ્ટમ બનાવી ચર્ચા-વિચારણા કરવાનો આદેશ
આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને આના માટેનો ડ્રાફ્ટ આપવાનો આગ્રહ કર્યો છે. બેન્ચે
કહ્યું છે કે, અમે નથી ઈચ્છતા કે, આ સિસ્ટમ
સેન્સરશિપ ભણી લઈ જાય, પણ અત્યારે છે, એ
પરિસ્થિતિ પણ ઈચ્છનીય નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, `ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' શોના એપિસોડ જિજ્ઞાસાથી જોવામાં આવ્યા છે. અમે
જોયું છે કે, આ `શો'માં વિકૃતિઓ
બીજા પ્રકારની છે. તેમણે કહ્યું કે, એક પુરુષ અને એક મહિલાને
ભૂલી જાવ, બે પુરુષ પણ એક સાથે બેસીને આ શોને જોઈ શકે એમ નથી.
સુપ્રીમ કોર્ટે જે રીતે વધુ એકવાર સરકારને ઓનલાઈન સામગ્રીના નિયમન માટેના માર્ગ વિચારવાની
ભલામણ કરી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, આ મામલો ગંભીર છે.
કોર્ટે આનો ડ્રાફ્ટ બનાવવો અને તેના માટે સંબંધિત પત્રો અને સામાન્ય લોકોનાં સૂચનો
લેવાનું પણ કહ્યું છે. આ પછી સરકાર આ દિશામાં સક્રિય થશે, પણ
આ કામ સરળ નહીં હોય. કારણ કે, આ મોરચે સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતામાં
હસ્તક્ષેપ કરી રહી છે એવી બુમરાણ શરૂ થઈ શકે છે. આવા શોમાં કોમેડિયન અને ઈન્ફ્લુએન્સર્સ
ખુલ્લેઆમ ગાળોનો ઉપયોગ કરવાની સાથે શાલીનતા અને નૈતિકતાના પણ ચીંથરાં ઉડાડતાં હોય છે.
આનું તાજું ઉદાહરણ `ઇન્ડિયાઝ
ગોટ લેન્ટટ' યુ-ટયુબર ઓનલાઈન કાર્યક્રમ
છે. દેશમાં અનેક ગંભીર સમસ્યા છે, પણ એનો અર્થ એ નથી કે,
ઓનલાઈન બિભત્સતાને બેરોકટોક ચાલવા દેવી જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતાને
બહાને ઓનલાઈન બિભત્સતા પર કોર્ટના આદેશ બાદ તે હવે અનિયંત્રિત ન રહે તે જોવાની ફરજ
સરકારની છે.