હૈદરાબાદ, તા. પ : આઇપીએલ-2026 સીઝનની ટેબલ ટોપર પણ પાછલી બે મેચમાં આંચકારૂપ
હાર સહન કરનાર પંજાબ કિંગ્સનો બુધવારની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો થશે. આ ટીમની
પણ સતત પાંચ મેચની વિજયકૂચ થંભી ગઇ છે. ત્યારે બન્ને ટીમ માટે પ્લેઓફમાં આગળ વધવા માટે
આ મેચમાં જીત હાંસલ કરવી જરૂરી બની છે. હૈદરાબાદે સીઝનની શરૂઆત સારી રીતે કરી ન હતી, પણ બાદમાં સતત પાંચ જીત મેળવી
ફોર્મમાં પરત ફરી છે. જો કે તેને પાછલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 7 વિકેટે હાર સહન કરવી પડી હતી. એસઆરએચ હાલ પોઇન્ટ
ટેબલ પર 10 મેચમાં 6 જીતથી 12 અંક સાથે ત્રીજા નંબર પર છે. ટીમના મુખ્ય ખેલાડીઓ અભિષેક શર્મા, ઇશાન કિશન, ટ્રેવિસ હેડ અને હેનરિક કલાસેન સારા ફોર્મમાં છે. કપ્તાન કમિન્સ વાપસી કરી
ચૂકયો છે. જો કે બોલિંગ મોરચે એસઆરએચ સાતત્યપૂર્ણ દેખાવથી દૂર છે. નવોદિત પ્રફુલ્લ
હિંગે અને સાકિબ હુસેન પદાર્પણ મેચ પછી પ્રભાવિત કરી શકયા નથી. બીજી તરફ પંજાબ કિંગ્સની
શરૂઆત ધમાકેદાર રહી હતી. 7 મેચમાં
6 જીત નોંધાવી હતી. 6 વિજય પછી શ્રેયસ અય્યરની ટીમ પર રાજસ્થાન રોયલ્સે
લગામ કસી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સ સામે પણ બેટિંગના નિસ્તેજ દેખાવથી પરાજય થયો હતો.
આમ છતાં પંજાબ કિંગ્સ હાલ 13 અંક
સાથે પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે.