નવી દિલ્હી, તા. 20 : મુંબઈ ઇન્ડિયન્સ ટીમનું
અને તેના કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનું ખરાબ પ્રદર્શન ટીકાકારોના નિશાન પર
છે. ટીમ પાંચ મેચમાંથી ચાર મેચ ગુમાવી ચૂકી છે.
કોમેન્ટેટર અને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ ભવિષ્યવાણી કરી છે કે હાર્દિક પંડયા
સિઝનની અધવચ્ચે જ મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની ગુમાવશે. તે કદાચ પદનો ત્યાગ કરશે. મુંબઈ
ઇન્ડિયન્સના ખરાબ દેખાવની સાથોસાથ કપ્તાન હાર્દિક માટે પણ આઇપીએલની વર્તમાન સિઝન ઠીક
ચાલી રહી નથી. તે 4 મેચમાં ફક્ત 81 રન કરી શક્યો છે અને બે વિકેટ જ મળી છે. એક મેચ તેણે
બિમારીને લીધે ગુમાવી હતી. આકાશ ચોપરા કહે છે કે હાર્દિક પંડયા પાસેથી હવે મેચ વિનિંગ
પરફોર્મન્સની આશા છે. તેણે છેલ્લે ક્યારે મેચ વિનિંગ ઇનિંગ રમી તે મને યાદ નથી. તે
ફક્ત ટુકડા ટુકડામાં દેખાવ કરી રહ્યો છે. બીજી તરફ અન્ય એક પૂર્વ ખેલાડી મનોજ તિવારીએ
સૂચન કર્યું છે. મુંબઈના કપ્તાન પદે ફરી રોહિત શર્માને લાવવો જોઇએ. જેની આગેવાનીમાં
ટીમે પાંચ ખિતાબ જીત્યા છે.