નવી દિલ્હી,
તા. 20 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે ભારત-કોરિયા બિઝનેસ લિડર્સ
ડાયલોગમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બન્ને નેતાઓએ કાર્યક્રમમાં હાજર ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓ
સાથે સમૂહ તસવીર ખેંચાવી હતી અને પછી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ લીએ સેલ્ફી લીધી હતી.
આ બેઠકમાં બન્ને દેશ વચ્ચે મહત્ત્વપૂર્ણ એમઓયુનું આદાન પ્રદાન થયું હતું. જેમાં એઆઈ, સેમીકંડક્ટર, ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ વગેરે સામેલ છે.
પીએમ મોદીએ બેઠક બાદ કહ્યું હતું કે ભારત અને દક્ષિણ કોરિયા આગામી દશકની સફળતાનો પાયો
રાખી રહ્યા છે. બન્ને દેશ વચ્ચે એઆઈ, સેમીકંડક્ટર, આઈટી ક્ષેત્રમાં ભાગીદારી મજબૂત કરવા માટે ઈન્ડિયા-કોરિયા ડિજીટલ બ્રિજ તૈયાર
કરાયો છે. પીએ મોદીએ કહ્યું હતું કે, જહાજ નિર્માણ, સતત વિકાસ, સ્ટીલ અને પોર્ટ જેવા ક્ષેત્રમાં એમઓયુ ઉપર
હસ્તાક્ષર થયા છે. જેનાથી બન્ને દેશના ઔદ્યોગિક અને આર્થિક સહયોગને નવી ગતિ મળશે. બન્ને
દેશ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને વધારે મજબુત કરવા માટે 2028મા ભારત-દક્ષિણ કોરિયા ફ્રેન્ડશિપ ફેસ્ટિવલ આયોજીત
કરવામાં આવશે.મોદીએ આગળ કહ્યું હતું કે, દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય
વેપાર 27 અબજ ડોલરે પહોંચ્યો છે અને 2030 સુધીમાં 50 અબજ
ડોલર કરવાનું લક્ષ્ય છે. ભારતીય બજારમાં વિશષ રૂપથી દક્ષિણ કોરિયાના એમએસએમઈની એન્ટ્રી
સરળ બનાવવા કોરિયન ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ સ્થાપિત કરવામાં આવશે. બીજી તરફ દક્ષિણ કોરિયાના
રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે પીએમ મોદી સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં ભારત સરકાર, પીએમ મોદી અને
ભારતીય જનતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. લીએ કહ્યું હતું કેભારત અને દક્ષિણ કોરિયાને
ઈલેકટ્રોનિક ચુકવણી પ્રણાલીથી જોડવા એક એમઓયુ ઉપર હસ્તાક્ષર થયા છે. આ સમજૂતી બાદ બન્ને
દેશના નાગરીક એકબીજા દેશની યાત્રા દરમિયાન
સ્થાનિક ક્યુઆર કોડ સિસ્ટમનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકશે. તેમણે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય
સંબંધોને આગળ વધારવાની દિશામાં ઉંડી ચર્ચા કરી હતી અને વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દે
વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.