ઉધમપુર, તા. 20 : જમ્મુનાં ઉધમપુરમાં
સોમવારની સવાર ગોઝારી ઊગી હતી. રામનગર ક્ષેત્રનાં કાનોટે ગામમાં રામનગરથી ઉધમપુર જતી
બસ અચાનક બેકાબુ બનીને પલટી જતાં 21 યાત્રીનાં
મોત થઇ ગયાં હતાં. કગોટ પાસે રસ્તાથી લગભગ 100 ફૂટ
ઊંડે ખાબકીને આખી બસ પલટી જતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ લોહિયાળ દુર્ઘટનામાં અન્ય
29થી વધુ યાત્રી ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
જીવ ખોનારા યાત્રીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મૃતકોના પરિવારોને બે-બે
લાખ અને ઘાયલોને 50 હજારનાં વળતરની ઘોષણા કરી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે, દુર્ઘટનાનો શિકાર બનેલી બસ જાહેર પરિવહનની હતી. બસ યાત્રીઓથી
ભરચક ભરેલી (ઓવરલોડ) હતી અને તેની ગતિ પણ ઘણી વધારે હતી, તેવું
ઘાયલ યાત્રીઓએ જણાવ્યું હતું. ડ્રાઇવર બસ પર કાબૂ રાખી શક્યો નહોતો એટલે ખાઇમાં પડી
ગયા પછી બસનો ઉપરનો ભાગ આખો નષ્ટ થઇ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા
હતા, કેટલાકની હાલત ગંભીર હોવાથી મરણઆંક વધવાની ભીતિ વ્યક્ત કરાઇ
હતી.