રાપર , તા.
4 : તાલુકો સંકલન સમિતિની આજે યોજેલી
બેઠકમાં તાલુકાના કનાડતા વિવિધ પ્રશ્નોની રજૂઆત થઇ હતી. પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલનાં
અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં 47 પ્રશ્નોની રજુ થયા હતા. સપેડાવાંઢ, શરણેશ્વર સહિતની વાંઢોમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત અવિરત વીજપુરવઠો પૂરો
પાડવા, આડેસર, ભીમાસર, પ્રાગપર સહિત મોટા ગામોમાં લૉ વોલ્ટેજની સમસ્યા નિવારવા, જર્જરીત વીજ ઉપકરણો બદલવા, સણવા અને કીડીયાનગરનાં રહેણાક
વિસ્તારમાંથી પસાર થતી હેવી વીજલાઈનો બદલવા, મોટી રવમાં હાઈસ્કૂલની
બાજુમાં જ આવેલા વીજ વાયરો દૂર કરવા, નાની રવમાં પાણીનાં વહેણમાં
ઊભેલા વીજ પોલ હટાવવા જેવા વીજ પ્રશ્નો રજૂ થયા હતા. કીડીયાનગરમાં બે મહિના પહેલા વર્ક
ઓર્ડર અપાયો હોવા છતાં હજી સુધી કામ ચાલુ ન કર્યું હોવાથી તાત્કાલિક કામ ચાલુ કરાવવા,
ફતેહગઢથી મૌવાણા, રાપર ફતેહગઢ આડેસર, સેલારી નર્મદા કેનાલથી ગેડાવાંઢ, માણાબાથી સુરજબારી,
રાપર ડાભુંડા સઈ ચિત્રોડ માણાબા રાયથલી વગેરે રસ્તાનું રિસર્ફાસિંગ,
ડામરકામ, ઝાડી કાટિંગ વગેરે કરાવવા, ટીંડલવાથી ડાભુંડા રોડનાં પૂલની બંને સાઈડો રિપેર કરાવવા, કીડીયાનગરમાં એક વર્ષથી જમીન સંપાદન થઈ ગયું હોવા છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું
કામ સત્વરે ચાલુ કરાવવા, રાપરનાં ત્રિકમ નગરમાં આંગણવાડી માટે
સર્વે થયેલી જમીન પરનું દબાણ દૂર કરાવવા જણાવાયું હતું. બેઠકમાં મામલતદાર એચ.બી.વાઘેલા,
તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, નાયબ મામલતદાર
ભીખાભાઈ કોરાટ, માર્ગ અને મકાન, પીજીવીસીએલ,
ફોરેસ્ટ, અભયારણ્ય, આરોગ્ય,
પોલીસ, નગરપાલિકા વગેરે વિભાગોનાં અધિકારીઓ,
તાલુકા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ઢીલા, નગરપાલિકા
પ્રમુખ ચાંદ ઠક્કર, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રાસિંહ વાઘેલા,
ધારાસભ્યનાં પ્રતિનિધિ વિનુભાઈ થાનકી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. - સુધરાઈમાં
ઇન્ચાર્જ સી ઓ મહિનામાં 3 દિવસ
આવે છે : વિપક્ષનાં કોઈ પ્રતિનિધિની અનુપસ્થિતિમાં
આયોજિત આ સંકલન સહ ફરિયાદ બેઠકમાં શાસક પક્ષ જ વિપક્ષની ભૂમિકા નીભાવતો હોય તેમ નગરપાલિકાનાં
ઈન્ચાર્જ મુખ્ય અધિકારી મહિનામાં માંડ ત્રણ દિવસ હાજર રહેતાં હોવાની અને તેનાં લીધે
અનેક અરજદારોનાં કામ અટકી રહેતાં હોવાની ફરીયાદો સત્તાપક્ષનાં પ્રતિનિધિઓએ કરી હતી.