ગાંધીધામ, તા. 4 : અંતરજાળમાં પ્લોટ બનાવી તેના
સાટાકરાર કરાવી રૂા. ત્રણ લાખ મેળવી બાદમાં દસ્તાવેજ ન કરી આપી તથા ત્રણ લાખ પરત ન
આપતાં બે શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. અંતરજાળમાં રહેતા હમીર ઉર્ફે બધાભાઇ સવા બવાએ
બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીને પ્લોટની જરૂરિયાત હોવાથી ઓળખીતા
દલાલ મોસીન અલાનાને વાત કરી હતી. તેણે ધોના જાનમહમદ પેથાને પ્લોટ વેચવાની વાત કરી હતી
અને જાનમામદ તથા તેના દીકરા જુસબ ધોના સાથે મળાવ્યા હતા. આ શખ્સોએ વોર્ડ-1માં પોતાનો પ્લોટ હોવાનું કહી 10 લાખમાં વેચવાનું કહ્યું હતું, જેનું અંજાર ખાતે ધારાશાત્રીની ઓફિસે જઇ નોટરી
લખાણ કરાવ્યું હતું. બાદમાં ફરિયાદીએ ત્રણ લાખ આપી દસ્તાવેજ વખતે બાકીના રૂપિયા આપવાનું
નક્કી કરાયું હતું જે અંગે વારંવાર કહેવા છતાં ફરિયાદીના નામે દસ્તાવેજ કરાયા નહોતા
અને પ્લોટ સાફ કરી બાંધકામ કરવાનું કહેતાં ફરિયાદી આવું કરવા જતાં આસપાસના લોકોએ પ્લોટ
તેમનો હોવાનું કહ્યું હતું. પાછળથી ફરિયાદીએ મામલતદાર કચેરીમાં તપાસ કરતાં લેન્ડગ્રેબિંગની
અરજી થઇ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીએ વારંવાર દસ્તાવેજ કરી આપવાનું કહેવા છતાં
દસ્તાવેજ કરાયા નહોતા તેમજ રૂા. ત્રણ લાખ પરત ન આપતાં પિતા-પુત્ર સામે વિશ્વાસઘાત,
છેતરપિંડીની કલમો તળે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.