નવી દિલ્હી, તા. 4 : કેન્દ્ર સરકારે
શનિવારે 23 નવા આતંકવાદી ઘોષિત કર્યા હતા, જેમાંથી 17 પાકિસ્તાનના રહેવાસી છે, તો છ જમ્મુ - કાશ્મીરના છે. યાદીમાં કુલ 80 નામ છે. આ તમામ આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ, લશ્કર - એ - તોયબા, ધ
રેજિસ્ટંસ ફ્રન્ટ તેમજ જમાત - ઉદ - દાવા જેવાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા
છે. સરકારે જણાવ્યું હતું કે, આ લોકો આતંકવાદીઓની ભરતી,
ભારતમાં ઘૂસણખોરી, આતંકી હુમલાના કારસા,
ટેરર ફંડિંગ, હથિયારો પહોંચાડવા જેવી ગતિવિધિઓ
કરતા હતા. નવાં 23 નામ જોડાતાં
ભારત સરકારની ઘોષિત આતંકવાદીઓની યાદીની સંખ્યા વધીને 80 પર પહોંચી ગઈ છે. સરકારે જે
જૈશ આતંકવાદીનાં નામ યાદીમાં સામેલ કર્યાં છે, તેમાંના કેટલાક 2016ના નાગરોય
આર્મી કેમ્પ હુમલા અને 2022ના સુનજવાં
હુમલામાં સામેલ હતા. ગૃહ મંત્રાલયના જણાવ્યાનુસાર,
આજે નવા ઘોષિત કરાયેલા આતંકવાદીઓ યુવાનોને ફોસલાવીને આતંકના માર્ગે લઈ
જતા હતા. નવા ઘોષિત આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી
(એનઆઈએ)ને શક્તિ મળી ગઈ છે.