ભુજ, તા. 21 : વિશ્વભરમાં વસતા સમગ્ર રઘુવંશી
લોહાણા પરિવારની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણી દ્વારા કરછ
ઝોનના હોદ્દેદારોની વરણી કરાઈ છે, જેમાં પ્રમુખ તરીકે અશોકભાઈ કારિયા (આદિપુર), ઉપપ્રમુખ
જયેશભાઈ સચદે (બાપાદયાળુ) (ભુજ), વિપુલભાઈ હાલાણી (ગાંધીધામ), મંત્રી મનીષભાઈ મજેઠિયા
(આદિપુર), સહમંત્રી વિશાલભાઈ ઠક્કર (માંડવી)ની નિમણૂક કરવામાં આવી છે. શ્રી વિઠ્ઠલાણી દ્વારા કચ્છ ઝોનના પ્રમુખ તરીકે
જેમની સતત બીજી વખત પસંદગી કરાઈ છે એવા અશોકભાઈ કારિયા આદિપુર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા
છે. વધુ વિગતો આપતાં નવનિયુક્ત પ્રમુખ અશોકભાઈ કારિયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાની
નવી વરાયેલી ટીમમાં ઉપપ્રમુખ તરીકે જેમની પસંદગી કરાઈ છે એવા જયેશભાઈ સચદે બાપાદયાળુના
હુલામણા નામથી જાણીતા અને અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખ, બાપાદયાળુ
ગ્રુપ રવાણી ફળિયા, મોટી વિરાણી પદયાત્રી સેવા કેમ્પ અને અનેક ધાર્મિક, સામાજિક સંસ્થાઓ
સાથે સંકળાયેલા છે, તેમની સાથે વિપુલભાઈ હાલાણી પણ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મંત્રી તરીકે
મનીષભાઇ મજેઠિયા હાલે આદિપુર લોહાણા મહાજનમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને તેઓ
પણ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સહમંત્રી તરીકે જેમની વરણી થઈ છે એવા યુવા અગ્રણી
વિશાલભાઈ ઠક્કર ગત ટર્મમાં માંડવી નગર સેવા સદનના કારોબારી ચેરમેન પદે રહી ચૂક્યા છે.
આમ નવનિયુક્ત ટીમના હોદ્દેદારોની અનેક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી
કરાઈ છે, જેથી સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓ કરવામાં સરળતા રહે. નવનિયુક્ત હોદ્દેદારોએ માતૃસંસ્થા પ્રત્યે આભારની
લાગણી વ્યક્ત કરી હતી. સાથે માતૃસંસ્થાની ગરિમા મુજબ જિલ્લામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓની
સાથે આરોગ્ય, રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાનો કોલ આપ્યો હતો.