મુંદરા, તા. 4 : મુંદરા તાલુકાના બરાયા
ગામ પાસે ટ્રાફિકજામની સાથે ખાડાવાળા માર્ગની સમસ્યા વધુ વકરતી જાય છે. વહેતું પાણી
ને તૂટેલી પાપડીને કારણે અગાઉ વારંવાર ચમકી ચૂકેલો આ રસ્તો હવે પુલનાં કામને કારણે
બાયપાસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઔદ્યોગિક વિકસિત વિસ્તારને કારણે સતત વાહનવ્યવહારથી
અહીં દિવસ-રાત ટ્રાફિકજામ થાય છે. ભારે વાહનો અને જર્જરિત માર્ગ ટ્રાફિકજામ વધારે છે.
ગામથી મુંદરા તરફ બહાર નીકળતા આ માર્ગને મરંમત
કરવામાં માર્ગ મકાન વિભાગને શું તકલીફ પડે છે એ સમજાતું નથી ? ભુજ -મુંદરા વચ્ચે મોટાભાગનો રસ્તો
જીએસઆરડીસી દ્વારા રિસર્ફાસિંગ થયો છે. પણ ભારાપરની આસપાસના કેટલાક વિસ્તાર સહિત આ
માર્ગ બાકી છે. જો પંચાયત આર એન્ડ બી હસ્તક આવતો હોય તો એ રીતે પણ સંકલન સાધીને આ કામ
ત્વરિત કરવા માંગ ઊઠી છે. માત્ર સામાન્ય લોકો કે ટ્રકો કે અધિકારીઓ જ નહીં, આ માર્ગમાંથી
મોટા રાજકારણીઓ પણ પસાર થાય છે. સોમવારે શાસકપક્ષના પ્રમુખપદ માટેની સેન્સ પ્રક્રિયા
માટે પણ નેતાઓ ભુજ ગયા અને ઘણીવાર જામમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. હવે જીત્યા પછી આવા પ્રશ્નોનોનો
તાત્કાલિક ઉકેલ આવે તો લેખે લાગશે.