ભુજ, તા. 18 : અણુવ્રત સમિતિ ભુજ દ્વારા લોકશાહી
મૂલ્યોને મજબૂત બનાવવા અને મતદારોમાં જાગૃતિ લાવવા માટે `ચૂંટણી શુદ્ધિ અભિયાન' અંતર્ગત વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં જાગૃત મતદાનની ભાવના વિકસાવવાનો
અને નિષ્પક્ષ, સ્વચ્છ અને જવાબદાર ચૂંટણી પ્રક્રિયાને પ્રોત્સાહન
આપવાનો છે. સમિતિના પ્રતિનિધિઓએ `હું મત જરૂર આપીશ, પરંતુ મારા વિવેકથી' એવો સંકલ્પ જાહેર કર્યો હતો કે,
મતદારોને સમજાવવામાં આવ્યું કે મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ તે એક પવિત્ર ફરજ પણ છે. રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીએ લોકોને શુદ્ધ
મતદાન માટે અપીલ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ `સાચી પસંદગી આપણું કર્તવ્ય, આપણો દેશ - આપણું ભવિષ્ય' જેવા સંદેશોને આત્મસાત કરીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંકલ્પ
કર્યો હતો. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહોળી સંખ્યામાં
નાગરિકોએ ભાગ લીધો હતો તેવું અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી
સદસ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.