નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ શનિવારની સાંજે મહિલા અનામત વિધેયક અંગે દેશને સંબોધતાં જણાવ્યું હતું
કે, આ સુધારા ખરડો પસાર ન થઈ શક્યો એ બદલ દેશની
તમામ માતાઓ-બહેનોની માફી માગું છે. સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની નારીશક્તિને થશે.
દેશની અડધી વસતીને તેનો અધિકાર આપતા નારીશક્તિ વંદન સંશોધન અધિનિયમને રોકવાનું પાપ
કરનાર વિપક્ષોને દેશની નારીશક્તિ માફ નહીં કરે. કોંગ્રેસ સહિતના વિપક્ષો ભૃણહત્યાના
અપરાધી છે. સંસદમાં મહિલા આરક્ષણ ખરડો પરાસ્ત થયાના બીજા દિવસે અડધા કલાકના સંબોધનમાં
વડાપ્રધાને મક્કમ સ્વરે કહ્યું હતું કે, `નારીશક્તિ'ના રસ્તામાં
આવતા તમામ અવરોધો દૂર કરીને બતાવશું. અમારો ઈરાદો અડગ છે. કાલે અમારી પાસે સંખ્યાબળ
નહોતું તેનો મતલબ એ નથી કે અમે હારી ગયા. અમારું આત્મબળ અજેય છે. નારીશક્તિને અધિકાર
આપવાનો ભાજપ એનડીએનો સંકલ્પ પૂરો કરીને રહેશું, તેવું મોદી બોલ્યા
હતા.વિપક્ષો પર આકરા પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, મહિલા
અનામત સુધારા ખરડો પસાર ન થઈ શકતાં કોંગ્રેસ, દ્રમુક,
સપા, તૃણમૂલ જેવા પક્ષો તાળી વગાડતા હતા,
તે જોઈને ભારે દુ:ખ થયું. ટેબલ પર થાપ એ નારીના આત્મસન્માનને ઈજા પહોંચાડવાનું
કૃત્ય હતું. દેશની અડધી વસતીને અધિકાર આપવા માટેના પ્રામાણિકતા સાથેના પવિત્ર પ્રયાસરૂપ
આ વિધેયકથી કોઈનું કંઈ છીનવાય તેમ નહોંતું, પરંતુ વિપક્ષોએ નારીશક્તિના
સ્વપ્ન નિર્મમ રીતે કચડી નાખ્યા છે. દેશની નારી આ અપમાન કદી નહીં ભૂલે, વિપક્ષને આ પાપની સજા જરૂ2 મળશે. મહિલા શક્તિને
વધાવતા વિધેયકની ભૃણ હત્યા કરનાર વિપક્ષો બંધારણના,
નારીશક્તિના અપરાધી છે. કોંગ્રેસ મહિલા અનામતના વિષયથી જ નફરત કરે છે.
હંમેશાં મહિલા અનામતને રોકવા ષડયંત્ર કર્યાં. આ વખતે પણ કોંગ્રેસે દેશને ગુમરાહ કરવાની
કોશિશ કરી છે. વ્યક્તિગત રીતે મને આશા હતી કે, કોંગ્રેસ દાયકાઓ
જૂની ભૂલ સુધારીને પોતાનું પ્રાયશ્ચિત કરશે, પરંતુ કોંગ્રેસે
ઈતિહાસ રચવાનો અવસર ખોઈ દીધો. કોંગ્રેસ સહિત વિપક્ષોનો અસલી ચહેરો નારીશક્તિની સામે
આવી ગયો છે. પરિવારવાદી પક્ષોને ડર છે કે, સીમાંકન બાદ મહિલાનું
કદ વધશે. અસુરક્ષાની ભાવના છે. મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે,
દેશમાં મોટાભાગના વિસ્તારોમાં વજૂદ ખોઈ ચૂકેલી કોંગ્રેસ પરજીવી જેમ પ્રાદેશિક
પક્ષોની પીઠ પર સવાર થઈને પોતાને જીવંત રાખવા માગે છે. કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોનું
ભવિષ્ય પણ અંધકારમાં ધકેલી દેવાનું ષડયંત્ર રચ્યું છે. સીમાંકન બાદ મહિલા શક્તિનું
કદ વધશે તેવી અસુરક્ષા અને ભયના કારણે વિપક્ષોએ મહિલા અનામત સુધારા ખરડાનો વિરોધ કર્યો.
સીમાંકન પર સતત ખોટું બોલીને વિભાજનની આગ ભડકાવવા માગે છે. ભાગલા પાડો અને રાજ કરોની
નીતિ કોંગ્રેસે અંગ્રેજો પાસેથી વારસામાં લાવી છે, તેવા પ્રહારો
મોદીએ કર્યા હતા. તામિલનાડુ, બંગાળ, ઉત્તરપ્રદેશ,
કેરળ, દરેક રાજ્યોની બેઠકો વધતી હતી. દ્રમુક,
કોંગ્રેસ, તૃણમૂલે તેમના જ રાજ્યોને આગળ વધવાનો
મોકો છીનવી લીધો છે, તેવું તેમણે કહ્યું હતું. હું તો સુધારાનો
યશ પણ વિપક્ષને આપવા માગતો હતો. દેશની મા-બહેન દીકરી કોંગ્રેસ સહિત વિપક્ષોની માનસિકતાનો
સજ્જડ જવાબ આપશે, તેવું વડાપ્રધાન બોલ્યા હતા.