ગાંધીધામ, તા. 13 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે
ઉમેદવારીપત્રકોની ચકાસણી થઈ ગઈ છે અને 15 તારીખે હરીફ ઉમેદવારોનું ચિત્ર
સ્પષ્ટ થશે, ત્યારે બીજા જ દિવસે ભાજપ દ્વારા ગાંધીધામ
મહાનગરપાલિકા સહિતની ચૂંટણી માટે પ્રચારનો આરંભ કરાવાશે. કચ્છમાં પ્રથમ વખત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત સી.એમ. પ્રચારનો આરંભ કરાવશે. આ અંગે
આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. 16મીએ
કચ્છની મુલાકાતે આવશે. મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી પ્રથમ માતાના મઢ ખાતે દર્શન
કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારનો આરંભ કરાવશે. ગાંધીધામના કાર્યક્રમ
અંગે મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી બપોરે 12 વાગ્યે આવી પહોંચશે અને
જનસભાને સંબોધન કરશે. બાદમાં કાર્યકરો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રીના કચ્છના પ્રવાસને લઈને ગાંધીધામમાં સંગઠન દ્વારા તૈયારીઓનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. જો કે, હજુ સત્તાવાર કાર્યક્રમ આવવાનો બાકી છે.