ભુજ, તા. 28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
નેતૃત્વ હેઠળ `એક પેડ માં કે નામ 2.0 અભિયાન' અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના
હસ્તે કુરનમાં વૃક્ષારોપણ કરાયું હતું. કચ્છ
જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ,
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કલેકટર આનંદ
પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલિસ અધિક્ષક વિકાસ સુંડા તથા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ જે. આર.
પટેલ તથા અન્ય પદાધિકારીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુરન ચેકડેમ ખાતે વૃક્ષારોપણ
કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા કુરન માધ્યમિક શાળા ખાતે પવિત્ર ઉપવન બનાવવામાં
આવ્યા છે. જેમાં 100 રોપા જેવા
કે વડ, લીમડઢો, પીપળો જેવી સ્થાનિક
પ્રજાતિના લોન્ગ લાસ્ટીંગ મલ્ટીપર્પઝ ઈન્ડીજીનીયસ ટ્રી રોપાનું વાવેતર તથા બાળકોને
પોષણ મળી રહી તે હેતુથી ફળાઉ રોપા જેવા કે બદામ, આમળા,
ગુંદા, જાંબુ, સેતુર,
જામફળ તથા દાડમ વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથો-સાથ બાળકોના
શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી પ્રાથમિક શાળા ખાતે કસરતના તથા રમત-ગમતના સાધનો
પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય કુરનના એપ્રોચ રોડ તથા માધ્યમિક શાળાના સંકુલમાં અંદાજિત
500 રોપાનું વાવેતર કરવામાં આવ્યું
હતું. વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે રોપા વિતરણ કેન્દ્ર પણ બનાવવામાં આવતા મુખ્યમંત્રીના
સભા સ્થળે ઉપસ્થિત ગ્રામજનોને અંદાજિત 1500 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.