ભુજ / ગાંધીધામ, તા.28 : ભુજ તાલુકાના
નાડાપામાં સચ્ચિદાનંદ મિનરલ્સ ફેકટરીની મજૂર વસાહતમાં પરપ્રાંતિય 27 વર્ષીય પરિણીત મહિલા શિલ્પાબેન
દિલીપભાઈ કલાસ્વા ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે કપડાં ધોઈને સુકાવવા જતાં જીવતા વીજતારને
અડી જતાં વીજળીનો કરંટ લાગતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઢોરીમાં 22 વર્ષીય યુવા પરિણીતા ઉર્મિલાબેન
મહિપતભાઈ બત્તાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બીજીબાજુ અંજાર તાલુકાના
સુગારિયામાં કોઈ કારણસર ઉંદર મારવાની દવા ગટગટાવનાર 47 વર્ષીય યુવાન રતાભાઈ કાનાભાઈ
ડાંગરે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. નડાપાની સચ્ચિદાનંદ મિનરલ્સ ફેકટરીની
મજૂર વસાહતમાં રહી મજૂરી કરતા મૂળ અરવલ્લી જિલ્લાના એવા દિલીપભાઈ કલાસ્વાએ પદ્ધર પોલીસ
મથકે જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે સાંજે તેમની પત્ની શિલ્પાબેન કપડાં ધોઈ ચાલીમાં
સુકાવવા ગઈ હતી, જ્યાં જીવતા વીજતારના સંપર્કમાં
આવી જતાં તેને વીજળીનો જોરદાર કરંટ લાગતા તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી તજવીજ આદરી છે. ઢોરી ગામે રહેતી યુવા પરિણીતા ઉર્મિલોબેન બત્તાએ ગત તા.26/6ના રાત્રે 11:30 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય
કારણોસર પોતાનાં ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ નીપજ્યા
અંગેની વિગતો માધાપર પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી
હાથ ધરી છે. સુગારિયા ગામમાં રહેતા રતાભાઈએ ગત તા. 25/6ના 6.30 વાગ્યે પોતાનાં ઘરમાં ઉંદર મારવાની દવા પીધી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. ચાલુ
સારવાર દરમ્યાન ગઈકાલે વહેલી સવારે 5.15 વાગ્યાના અરસામાં તેમણે દમ તોડયો હતો. અંજાર સરકારી હોસ્પિટલના
ડો. ઉદિત કેલાએ તેમને મૃત જાહેર કર્યા હતા. હતભાગીએ કયા કારણોસર આ પગલું ભરી લીધું
હશે તે જાણવા માટે પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ છાનબીન આરંભી છે.