નવી દિલ્હી, તા.28 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ આજે જૈન મુનિ આચાર્ય વિદ્યાનંદ મહારાજના જન્મ શતાબ્દિ સમારોહમાં ભાગ
લીધો હતો. તેમણે આચાર્ય વિદ્યાનંદની ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કર્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન ભગવાન મહાવીર અહિંસા ભારતી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
પીએમે આચાર્ય વિદ્યાનંદને `યુગપુરુષ' ગણાવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટે પીએમ મોદીને
`ધર્મ ચક્રવર્તી'ની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. પોતાના પ્રતિભાવમાં
વડાપ્રધાને કહ્યું કે હું પોતાને આ ઉપાધિને યોગ્ય માનતો નથી પરંતુ, આપણી સંસ્કૃતિમા એ પરંપરા છે કે સંતો પાસેથી જે કાંઈ પણ મળે તેનો પ્રસાદી માનીને
સ્વીકાર કરવો જોઈએ એ ન્યાયે હું આ સન્માનને પ્રસાદ માનીને સ્વીકારી રહ્યો છું. તેમણે
કહ્યું કે આજના જ દિવસે 1987માં આચાર્ય
વિદ્યાનંદ મુનિરાજને `આચાર્ય'ની ઉપાધિ આપવામાં આવી હતી. આ એક સન્માન જ નહીં
પરંતુ, જૈન સંસ્કૃતિને વિચાર, સંયમ અને
કરુણાથી જોડનારી એક પવિત્ર ધારા પણ હતી. આચાર્ય વિદ્યાનંદ મહારાજનો જન્મ શતાબ્દિ સમારોહ
આખું વર્ષ ચાલશે જે દરમ્યાન જૈન સમાજ દ્વારા દેશમાં ઠેરઠેર અનેક કાર્યક્રમ યોજવામાં
આવશે. પીએમે જણાવ્યું કે આચાર્ય વિદ્યાનંદ મુનિરાજ એક `યુગપુરુષ' હતા. આચાર્ય વિદ્યાનંદ મહારાજ જૈન ધર્મના સંત,
વિદ્વાન અને સમાજસુધારક હતા. તેમણે નાની વયે સન્યાસ લીધો હતો અને આખી
જિંદગી સંયમ, સાધના, સેવામાં લગાવી હતી.