• રવિવાર, 29 જૂન, 2025

અંતરિક્ષથી ભારત ભવ્ય દેખાય છે : શુભાંશુ

નવી દિલ્હી, તા. 28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતરિક્ષમાં ગયેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. શુભાંશુએ કહ્યું હતું કે, અંતરીક્ષમાંથી ભારત ઘણું ભવ્ય દેખાય છે. અમે દિવસમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્ત નિહાળીએ છીએ. વડાપ્રધાને તેમને તેમની સાથે લઈ ગયેલા ગાજરના હલવા વિશે સવાલ પૂછીને જાણવા મળ્યું કે તે ગાજરનો હલવો અન્ય સાથીઓને આપ્યો કે નહીં, શુભાંશુએ તેના જવાબમાં કહ્યું કે, હા, સાથીઓ સાથે બેસીને ખાધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ શુભાંશુને કહ્યું હતું કે, તેઓ ભારતભૂમિથી દૂર છે, પણ ભારતવાસીઓની સૌથી નજીક છે. વર્તમાન સમયે બંને વચ્ચે વાત થઈ રહી છે પણ તેઓની સાથે 140 કરોડ ભારતવાસીની ભાવના પણ છે. મોદીએ કહ્યું હતું કે, તેઓના અવાજમાં ભારતીયોનો ઉત્સાહ અને ઉમંગ સામેલ છે. અંતરિક્ષમાં ભારતનો ઝંડો ફરકાવવા બદલ અભિનંદન પાઠવે છે. જવાબમાં શુભાંશુએ કહ્યું હતું કે, તમામના આશીર્વાદ અને પ્રેમના કારણે ખુબ સારું લાગી રહ્યું છે. તેને ગર્વ છે કે, દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.  અંતરીક્ષની વિશાળતા અંગે પીએમે પૂછેલા સવાલ વિશે શુભાંશુએ કહ્યું કે, પહેલું દર્શન પૃથ્વીનું કર્યું હતું ત્યારે ખ્યાલ આવ્યો કે, પૃથ્વી એક જેવી છે. બહારથી કોઈ સરહદ દેખાતી નથી. ભારતને જોયું, તો તે ઘણું ભવ્ય અને વિશાળ દેખાય છે. પૃથ્વી આપણું ઘર છે અને આપણે બધા એક છીએ. 

Panchang

dd