• રવિવાર, 29 જૂન, 2025

સિંદૂર વનમાં દેશની ચારેય પાંખનાં સાધનો જોવા મળશે

ભુજ, તા. 28 : ભુજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ વિસ્તારમાં નિર્માણ પામનાર શૌર્યના પ્રતીક સમાન સિંદૂર વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભારતીય થલસેના, વાયુસેના, નૌસેના, બીએસએફ તથા પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને સમર્પિત એવા `સિંદૂર વન' વનકવચનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ વનકવચ વિકસાવવાની પદ્ધતિની વિગતવાર સમજ મેળવી હતી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂર વન બનાવવાનું આહ્વાન કર્યું હતું. કચ્છના વન વિભાગે આ આહ્વાનને ઝીલીને જે સ્થળે સભા યોજાઈ હતી ત્યાં જ સિંદૂર વન બનાવવાનો નિશ્ચય કર્યો હતો, જેના ભાગરૂપે આહલાદક સિંદૂર વનના મુખ્યમંત્રીએ બીજરોપણ કર્યાં હતાં અને શાત્રોક્ત વિધિ-વિધાન સાથેનું ભૂમિપૂજન કર્યું હતું.  મિરજાપર હાઇવે પર પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા તૈયાર થતા સિંદૂર વનમાં વિશાળ વિસ્તારમાં 80 હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે. આ સિંદૂર વન એક શૌર્યનું પ્રતીક બની રહેશે, જેમાં ભારતના લશ્કરની તાકાત સમાન હવાઈ જહાજ, નેવી, લશ્કર, બી.એસ.એફ.ની થીમ આધારિત ચારેય પાંખના આધુનિક સાધનો મૂકવામાં આવશે, જેમાં અહીં આવનારા પર્યટકોને વન્ય સંપદાની સાથે આઈ.એન.એસ. વિક્રાંત, એસ-400 મિસાઇલ, ડ્રોન, રાફેલ જેવા લડાયક સાધનોની થીમ પણ જોવા મળશે.  સિંદૂર વનમાં કચ્છની સ્થાનિક વનસ્પતિ વચ્ચેથી પસાર થતા પ્રવાસીઓને વધુ આનંદ થાય એ માટે અલાયદા વાકિંગ ટ્રેકની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કચ્છમાં 80 હજાર વૃક્ષનાં કારણે શુદ્ધ વાતાવરણનું નિર્માણ થશે અને શહેરમાં મોટા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે. અહીં બાળકોને મનોરંજન મળે તેવાં રમત-ગમતનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવશે. સિંદૂર વનમાં આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વનસ્પતિનું વાવેતર કરવામાં આવશે, જેમાં વડ, પીપળો, ઉમરો, કરંજ, અર્જુન, પીલુ, અશ્વગંધા, જાંબુ, આંબલી, લીમડો, લિયાર, દાડમ, તુલસી, અળસી, સરગવા, સિંદૂર, વાંસ જેવા 40 પ્રકારનાં વૃક્ષનું આ જંગલ બનાવામાં આવશે એવું જણાવાયું હતું.  કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, અનિરુદ્ધભાઇ દવે, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યુમનાસિંહ જાડેજા, વીરેન્દ્રાસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. કલેક્ટર આનંદ પટેલજિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, મુખ્ય વનસંરક્ષક સંદીપકુમાર, પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વનસંરક્ષક હર્ષ ઠક્કર, પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવ અને એસ.કે. ચૌધરી સહિતના વન અધિકારીઓ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd