અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતની
રાજનીતિમાં આગામી સમયમાં મોટા ફેરફારોના સંકેત આપતી એક મહત્ત્વપૂર્ણ ઘટના આજે ગાંધીનગર
ખાતે બની હતી. પાટીદાર સમાજના યુવાઓની ચિંતન શિબિરમાં સૌથી મુખ્ય મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓની ચૂંટણીઓમાં ઈડબલ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ) અનામતનો રહ્યો હતો. આ બેઠકમાં
ઓબીસી, એસસી અને એસટી સમુદાયની જેમ ઈડબલ્યુએસમાં આવતા
લોકોને પણ રાજકારણમાં અનામત મળે તેવી પ્રબળ માગણી ઉઠી હતી. વર્ષ 2015માં પાટીદારોને અનામત મળે તે
માટે થયેલાં આંદોલન બાદ ગુજરાતમાં ઈડબલ્યુએસનો જન્મ થયો હતો, જેના કારણે સવર્ણ સમાજને અભ્યાસ અને નોકરીઓમાં
10 ટકા અનામત લાગુ કરવામાં આવી, હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને સરદાર
પટેલ ગ્રુપ (એસપીજી) બંને સંસ્થાના આગેવાનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ
ઈડબલ્યુએસ અનામતની માગણી કરવામાં આવી છે. આ માગણી સાથે ગુજરાતનો સવર્ણ સમાજ વધુ એક
આંદોલન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પાટીદાર
યુવા નેતા અલ્પેશ કથીરિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, `દરેક જગ્યાએ આર્થિક રીતે નબળા લોકોને અનામત
મળતી હોય, તો સ્થાનિક ચૂંટણીમાં પણ મળવી જોઈએ.'
તેમણે ઉમેર્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં
આર્થિક અનામત અંગે વિવિધ સમાજની માગણી છે અને કોર્ટમાં પણ આર્થિક અનામત માટે અરજી થયેલી
છે. આ નિવેદન દર્શાવે છે કે, આ મુદ્દો માત્ર પાટીદાર સમાજ પૂરતો
સીમિત નથી, પરંતુ અન્ય સવર્ણ સમાજોનો પણ તેને ટેકો છે. આજની ચિંતન
શિબિરમાં આર્થિક અનામત ઉપરાંત અનેક સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા
કરવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજની દીકરીઓના ભાગીને લગ્ન
કરવાના મુદ્દા, પાટીદાર યુવાઓ ઓનલાઈન ગામિંગ અને સટ્ટામાં ન ઘેરાય
તે માટેના ઉપાયો, ગોંડલ અને દૂધસાગર ડેરી સંબંધિત બનાવો તેમજ
સમાજની સામાજિક અને રાજકીય સુરક્ષા જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓ
પર ચર્ચા કર્યા બાદ, આગેવાનો દ્વારા કયા મુદ્દે કેવી રીતે આગળ
વધવું તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ શિબિર પાટીદાર સમાજના ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ
દિશા નિર્ધારિત કરવા સાથે આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં તેના પડઘા જોવા મળી શકે
છે. જો કે, બેઠક અંગે સ્પષ્ટતા કરતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું
કે, આ બેઠકનો ઉદ્દેશ્ય માત્ર સામાજિક બાબતો જ છે કોઇ પણ સરકારી
કે અન્ય કોઇ પણ પ્રકારનો રાજકીય ઉદ્દેશ્ય નથી. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે,
આ બેઠકમાં બે મામલા મહત્ત્વનાં તરીને આવ્યા છે, જેમાં પ્રથમ મુદ્દો છે ઓનલાઇન ગામિંગનાં સતત વધી રહેલા દૂષણને ડામવા માટે સરકાર
કડક કાયદો લાવે. બીજો મુદ્દો છે લગ્ન માટે દીકરીઓનાં વાલી-વારસની સંમતિ હોય. પ્રેમ
લગ્નના કિસ્સામાં ફરજિયાત તેના વાલી વારસની સંમતિ લેવામાં આવે તે જરૂરી છે.