નવી દિલ્હી, તા. 28 : પહેલગામ હુમલા
બાદ ભારતે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનમાં ધમધમતાં આતંકી ઠેકાણા, તાલીમ શિબિરો નષ્ટ કર્યાં હતાં. ભારતના હુમલા
બાદ પાકિસ્તાને યુદ્ધવિરામ કર્યો હતો, પરંતુ સુધરે એ પાકિસ્તાન
નહીં કેમ કે, સુરક્ષા દળોના સૂત્રો પાસેથી મળેલી એક મોટી માહિતી
મુજબ પાકિસ્તાન મે મહિનામાં ભારતીય સેના દ્વારા નાશ પામેલા આતંકવાદી લોન્ચ પેડ્સ અને
આતંકવાદી તાલીમ શિબિરોને મોટા પાયે ભંડોળ પૂરું પાડીને ફરીથી બનાવવામાં વ્યસ્ત છે.
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેના, તેની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાની સરકાર આ આતંકવાદી માળખાંઓને ફરીથી
સ્થાપિત કરવામાં રોકાયેલા છે. ખાસ કરીને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર
(પીઓકે) અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યારે આ કામગીરી ચાલી રહી છે. ગુપ્તચર એજન્સીઓના
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈ
નિયંત્રણ રેખા નજીક ગાઢ જંગલોમાં હાઇ-ટેક અને નાના આતંકવાદી કેમ્પ બનાવવાનો પ્રયાસ
કરી રહ્યા છે, જેથી તેઓ દેખરેખ અને હુમલાઓથી બચી શકે. આ પગલું
ભારતીય સેનાનાં ઓપરેશન બાદ લેવામાં આવ્યું છે, જેમાં લશ્કર-એ-તોયબા,
જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને ધ રેઝિસ્ટન્સ
ફ્રન્ટ જેવા આતંકવાદી સંગઠનોનાં ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. જે શિબિરોનું પુન:નિર્માણ
કરવામાં આવી રહ્યું છે તે લુની, પુટવાલ, ટાઈપ્યુ પોસ્ટ, જમીલા પોસ્ટ, ઉમરાંવાળી,
ચપરાલ, ફોરવર્ડ કેહતા, છોટા
ચક અને જંગલોરા જેવા વિસ્તારોમાં સ્થિત છે. માહિતી અનુસાર, હવે
આ કેમ્પોને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે, જેથી
તેમને થર્મલ ઈમેજર્સ, ફોલીએજ પેનિટ્રાટિંગ રડાર અને ઉપગ્રહોથી
સુરક્ષિત રાખી શકાય. દરમિયાન, પાકિસ્તાની સેના અને આઈએસઆઈ પીઓકેના
13 લોન્ચિગ પેડ્સનો પુન:વિકાસ
કરી રહ્યા છે. સૂત્રોના
જણાવ્યા અનુસાર, આ લોન્ચિગ પેડ્સ કેલ વિસ્તાર,
શારડી, દુધનિયાલ, અથમુગમ,
જુરા, લિપા વેલી, પચીબન ચમન,
તાંડાપાની, નયાલી વિસ્તાર, જનકોટ, ચકોઠી, નિકલ, ફોરવર્ડ કહુતામાં છે. આ સાથે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાર આતંકવાદી
લોન્ચ પેડને ફરીથી સક્રિય કરવામાં પણ વ્યસ્ત છે. આ પાકિસ્તાન રેન્જર્સના લોન્ચ પેડ
અને નિયમિત ચોકીઓ છે, જેને ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફ દ્વારા
નષ્ટ કરવામાં આવ્યાં હતાં. ગુપ્તચર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈએસઆઈ આંતરરાષ્ટ્રીય સરહદ પાર ચાર લોન્ચ પેડનું પુનર્વિકાસ કરી રહ્યું છે.
આ લોન્ચ પેડ્સ મસરૂર બડા ભાઈ, ચપરાલ, લુની
અને શકરગઢમાં સ્થિત ડ્રોન કેન્દ્રો છે. સૂત્રો કહે છે કે, આઈએસઆઈએ
મોટા કેમ્પોને નાના કેમ્પમાં વિભાજિત કરવાની રણનીતિ અપનાવી છે જેથી એક જગ્યાએ આતંકવાદીઓની
મોટી હાજરી ન રહે અને જો હુમલો થાય, તો નુકસાન મર્યાદિત રહે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એવા ડેટાને આંતર્યા છે જે દર્શાવે છે કે, તાજેતરમાં બહાવલપુરમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જૈશ,
લશ્કર, હિઝબુલ અને ટીઆરએફ અને આઈએસઆઈના અધિકારીઓ
સહિત અન્ય આતંકવાદી સંગઠનોના ટોચના કમાન્ડરો હાજર રહ્યા હતા. આમાં, આઈએસઆઈએ તોડી પાડવામાં આવેલા આતંકવાદી કેમ્પ અને લોન્ચ પેડ્સના પુન:વિકાસ માટે
ભંડોળ અને માનવ સંસાધન પૂરું પાડવાનું મોટું વચન આપ્યું હતું.