ભુજ, તા. 28 : મુંદરાના ટુંડાની નદીમાં ગઇકાલે
સાંજે માછીમારી કરવા ગયેલો મૂળ ઉત્તરપ્રદેશનો 36 વર્ષીય યુવાન હરિન્દરકુમાર લાલ બચનરામ પાણીમાં ગરક થઇ ગયો હતો.
ભારે જહેમત બાદ આજે ભુજની ફાયર ટીમે તેની લાશ નદીમાંથી બહાર કાઢી હતી. આ બનાવ અંગે
મુંદરા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ મૂળ બલિયા જિલ્લાના ઉત્તરપ્રદેશનો અને હાલે ટુંડાની
લેબર કોલોનીમાં રહેતો હરિન્દરકુમાર ટુંડા ગામની સામે આવેલી નદીમાં ગઇકાલે માછીમારી કરવા ગયો હતો અને સાંજે પાણીમાં ગરક થયા બાદ આજે
તેની લાશ પાણીમાંથી બહાર નીકળી હતી. હોસ્પિટલ ખાતે લઇ અવાં તબીબે સત્તાવાર મૃત ઘોષિત
કર્યા હતા. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. દરમ્યાન આજે
ટુંડાની નદીમાં યુવાન ડૂબ્યાની વિગતો ભુજની ફાયર ટીમને મળતાં સચિન પરમારની સૂચનાથી
રેસ્ક્યૂ ટીમ, અંડર વોટર રોબોટ,
રેસ્ક્યૂ બોટ તથા સાધનો-વ્હીકલ સાથે ઘટના સ્થળે જઇ ત્રણ કલાકની જહેમત
બાદ ડૂબેલા યુવાનને પાણીમાંથી બહાર કઢાયો હતો. આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના વિશાલ
ગઢવી, સત્યરાજસિંહ ઝાલા, કમલેશ મતિયા,
રફીક ખલીફા તથા તાલીમી કર્મચારીઓ સાથે ગાંધીધામના પૃથ્વીરાજસિંહ ઝાલા
અને તેમની ટીમ જોડાઇ હતી. બીજી તરફ ટુંડાની નદીના બનાવ અંગે મયૂર બડિયાએ જિલ્લા કલેકટર
અને પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરી હતી કે, ટુંડાની નદીમાં કરવામાં
આવેલા મોટા ખાડા થકી આ યુવાન ડૂબીને મોતને ભેટયો છે, આથી તપાસ
કરી આ ખાડા કરનાર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા પત્રમાં માંગ કરી છે.